નવી દિલ્હીઃ મોદી સરકારે ઐતિહાસિક પગલું લેતાં ‘સંસ્કાર સે સમૃદ્ધિ’ના તેના વિઝનને વાસ્તવિક બનાવવા માટે અલગ ‘સહકાર મંત્રાલય’ની રચના કરી છે. આ મંત્રાલયનો આશય દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવાનો છે. દેશમાં પાયાના સ્તરે લોકો આધારિત ચળવળના મૂળ ઊંડા ઉતરે અને લોકોને લાભ થાય તે માટે આ મંત્રાલયની રચના કરાઈ છે તેમ સૂત્રોનું કહેવું છે. આ મંત્રાલય સહકારી ચળવળને મજબૂત બનાવવા માટે અલગ વહીવટી, કાયદાકીય અને નીતિવિષયક માળખું પૂરું પાડશે. વર્તમાન સમયમાં કો-ઓપરેટિવ આધારિત આર્થિક વિકાસ મોડેલ દેશ માટે ઘણું જ સુસંગત છે, જ્યાં દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે કામ કરતો હોય.
આ મંત્રાલય મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ્સ (એમએસસીએસ)ના વિકાસને સક્ષમ બનાવવા અને કો-ઓપરેટિવ માટે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે પ્રક્રિયાને સરળ બનાવવા પર કામ કરશે. કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે તે કોમ્યુનિટી આધારિત વિકાસ ભાગીદારી માટે કટિબદ્ધ છે. અલગ સહકારી મંત્રાલયની રચના કેન્દ્રીય નાણાપ્રધાનની બજેટ જાહેરાતોને પૂરી કરે છે. ખેડૂતોને મજબૂત કરવા માટે આ પગલું લેવાયું હોવાનું મનાય છે.