અમદાવાદઃ વૈશ્વિક કોરોના મહામારીને પગલે થયેલાં લોકડાઉનમાં મુંબઇ સ્થિત દાદરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા દરરોજ રેડી-ટુ-ઈટ સ્વામિનારાયણ વેજિટેબલ મસાલા ખીચડીના ૫૦૦૦ પેકેટ્સનું વિતરણ થઈ રહ્યું છે. આ ખીચડીની તેની વિશેષતાઓને કારણે સમગ્ર મહારાષ્ટ્ર જ નહીં, તામિલનાડુ, ઉત્તરાખંડ અને નેપાળમાં પણ ભારે માગ જોવા મળી રહી છે. છ મહિના સુધી ચાલે તેવી આ રેડી-ટુ-ઈટ ખીચડી પૌષ્ટિક-સ્વાદિષ્ટ અને કોઇ પણ જાતના કેમિકલ-પ્રિઝર્વેટિવ વગરની છે.
પરંપરા અને આધુનિકતાનો સમન્વય
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-દાદરના પૂ. તીર્થસ્વરૂપદાસજી સ્વામીના જણાવ્યા પ્રમાણે બ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખસ્વામીના આશીર્વાદ તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને કોઠારી પૂ. સાધુ ભક્તિપ્રિયદાસજીના માર્ગદર્શન હેઠળ આ વિશિષ્ટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી તૈયાર કરાઈ છે. આ ખીચડીની વિશેષતા એ છે કે તેને આર્મી દ્વારા વિક્સાવાયેલી ‘રેડી ટુ ઈટ’ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરાયો નથી. આ ખીચડીનું નિર્માણ પૂણેના સત્સંગી દેસાઇ ફૂડ્સના સંજયભાઈ દેસાઈ દ્વારા થઈ રહ્યું છે.
ખીચડી ભલે પરંપરાગત ભારતીય ખોરાક ગણાય, પણ આ સ્વામિનારાયણ વેજિટેબલ-મસાલા ખીચડીનું ઉત્પાદન આધુનિક ઢબે થાય છે. સ્વામી તીર્થસ્વરૂપદાસજી કહે છે કે આ રેડી-ટુ-ઈટ ખીચડીનું ફેક્ટરી પેકિંગ થતું હોવાથી તેમાં કોઈ જ માનવસ્પર્શ થતો નથી. ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI)ના નિર્ધારિત માપદંડ અનુસાર તૈયાર થયેલી આ પૌષ્ટિક અને પ્રોટિન તથા કાર્બોહાઈડ્રેટ ધરાવતી ખીચડીનો સ્વાદ જેમ રેપર ખોલીને વેફર ખાઈએ છીએ તેમ માણી શકાય છે.
આ ખીચડીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત બાસમતી ચોખા, પ્રોટિનયુક્ત દાળ, લવિંગનો સમાવેશ આમાં થયો છે. અત્યારે દરરોજ ૫,૦૦૦ જેટલા પેકેટ્સનું વિતરણ પૂણે, મુંબઈ, નાશિક, કોલ્હાપુર અને આસપાસનાં વિસ્તારમાં થઈ રહ્યું છે, જે મહદ્અંશે અત્યાર હોસ્પિટલ સ્ટાફ અને પોલીસમેનને આપવામાં આવી રહ્યા છે.
દેશભરમાં બહોળી માગ
તેમણે જણાવ્યું હતું કે જ્યાં પણ આ રેડી-ટુ-ઈટ સ્વામિનારાયણ ખીચડીનું વિતરણ થઇ રહ્યું છે, તે જરૂરતમંદો દ્વારા તો તેની પ્રશંસા થાય જ છે, પરંતુ જરૂરિયાતમંદોને વહેંચવા માટે ઉત્તમ વસ્તુ હોવાથી વહીવટી તંત્ર અને પ્રશાસકો દ્વારા પણ આ રેડી-ટુ-ઇટ રેડી-ટુ-ઈટ સ્વામિનારાયણ વેજિટેબલ-મસાલા ખીચડીના ભરપૂર વખાણ થઇ રહ્યા છે. આથી આ પ્રકારની આ પ્રકારની રેડી-ટુ-ઈટ સ્વામિનારાયણ ખીચડીની માગ ચેન્નઇ, દહેરાદૂન અને નેપાળથી પણ આવી રહી છે.
સ્વામીજી કહે છે કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દુનિયાભરમાં ફેલાયેલા મંદિરો - કેન્દ્રો દ્વારા કોવિડ-૧૯ રાહત અભિયાન કાર્યો ચાલી રહ્યા છે. સરકાર દ્વારા નિયત કરાયેલા તમામ નિયમો, ધારાધોરણોના પાલનની સાથે આ સેવાકાર્યો ચાલી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના દર્શન મુજબ હંમેશા કાયદા અને ધર્મના સન્માન - પાલનની સાથે એ પણ નિશ્ચિત કરીએ છીએ કે સામાજિક કાર્ય કરવા દરમિયાન કોઈનું અહિત ન થાય.