• રૂ. ૧૦૫ કરોડનું હેરોઇન ઝડપાયુંઃ

Thursday 27th November 2014 06:49 EST
 

• પાકિસ્તાને સરહદે કરેલા શસ્ત્રવિરામ ભંગની માહિતી આપતા વિદેશ રાજ્યપ્રધાન કિરણ રીજિજુએ ૨૫ નવેમ્બરે લોકસભામાં કહ્યું હતું કે આ વર્ષે પાકિસ્તાને ૧૫૨ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો, જેમાં ૧૫ લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ૧૧૫ અન્ય ઘવાયા હતા. ઉલ્લેખનીય છે કે આ આંકડા ૩૧ ઓક્ટોબર સુધીનો છે.

• ૨૦૦થી વધુ ભારતીય માછીમારો પાકિસ્તાનના કબ્જામાંઃ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે લોકસભામાં જણાવ્યું હતું કે હાલ ૨૦૦થી વધુ ભારતીય માછીમારો પાકિસ્તાનના કબજામાં છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ‘દ્વિપક્ષીય માહિતીની આપ-લે અંગેની સંધિ હેઠળ પાકિસ્તાન સત્તાવાળાઓએ આપેલા આંકડાઓ અનુસાર ૨૧૦ ભારતીય માછીમારો, તેમજ ૩૭ ભારતીય મનાતા માછીમારો (જેમની ભારતીય રાષ્ટ્રીયતા હજી નક્કી થઇ નથી) હાલ પાકિસ્તાનના કબજામાં છે. માછીમારો ઉપરાંત ૭૪૦ માછીમારીમાં વપરાતી ભારતીય બોટો પણ તેમના કબજામાં છે.

• મતદાનથી દૂર રહો - આતંકવાદીઓની ચીમકીઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન બાદ આતંકવાદીઓએ લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું છે. ૨૬ નવેમ્બરે કાશ્મીરના પુલવામાના અનેક સ્થાનો ઉપર આતંકવાદી સંગઠન હિઝબુલના ધમકી આપતા પોસ્ટર લગાવેલાં હતાં. તેમાં લોકોને ચૂંટણીથી દૂર રહેવા જણાવાયું છે. સાથે જ આદેશ નહીં માનવા બદલ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી છે. રાજ્યમાં ૭૧ ટકાથી વધારે મતદાને રાજ્યમાં આતંકવાદના તબક્કા બાદ નવો ઇતિહાસ રચ્યો છે.

• સિગારેટના છૂટક વેચાણ પર પ્રતિબંધ લદાશેઃ સિગારેટના વધતા ઉપયોગને મર્યાદિત કરવા માટે ભારત સરકાર સિગારેટના છુટક વેચાણ પર પ્રતિબંધ લાદી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કમિટીની ભલામણને મંજૂરી આપી દીધી છે. હવે આ અંગે કેબિનેટમાં વિચારણા થશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જે ભલામણો સ્વીકારી છે તેમાં સિગારેટ પીનારાઓની લઘુતમ વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૫ વર્ષ કરવી, સાર્વજનિક જગ્યાઓએ ધૂમ્રપાન કરવા માટે દંડની રકમ વધારીને રૂ. ૨૦ હજાર રૂપિયા કરવી, સિગારેટના પેકેટ પર ચેતવણીનો ઉલ્લેખ ન કરવા બદલ દંડની રકમ રૂ. ૫૦ હજાર વગેરેનો સમાવેશ થાય છે.

• રાજસ્થાનમાં પાંચ મહાપાલિકામાં ભગવો લહેરાયોઃ વિધાનસભાની પેટા-ચૂંટણીમાં પછડાટ ખાધા પછી શાસક ભાજપે છ મહાનગરપાલિકાઓમાંથી પાંચમાં સંપૂર્ણ બહુમતી મેળવી ધમાકેદાર પુનરાગમન કર્યું છે. તે ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ૪૬માંથી ૩૧ બેઠકો પર વિજય મેળવ્યો છે. રાજસ્થાન રાજ્ય ચૂંટણી પંચના પ્રવક્તાએ જણાવ્યું કે, ભાજપે પાંચ મહાનગરપાલિકાઓ, ૧૫ મ્યુનિસિપલ બોર્ડ અને ૧૧ મ્યુનિસિપલ કાઉન્સિલ પર કબજો મેળવ્યો હતો.

• મોદીના મતવિસ્તારમાં બોગસ મતદારો!ઃ નરેન્દ્ર મોદીને જે વારાણસી સંસદીય બેઠક પર ૩,૭૧,૭૮૪ મતોથી વિજય મળ્યો ત્યાં ૩,૧૧,૦૫૭ બનાવટી મતદારો મળી આવ્યા છે અને હજુ ગણતરી ચાલુ છે. જિલ્લા વહીવટી તંત્રનું અનુમાન છે કે બનાવટી મતદારોની સંખ્યા ૬,૪૭,૦૮૫ સુધી પહોંચી શકે છે. વારાણસીમાં આટલી મોટી સંખ્યામાં બનાવટી મતદારો પ્રથમ વખત મળ્યા છે. ભારતના ચૂંટણી પંચના કહેવાથી મતદાર યાદીની ચકાસણી થતા આ બાબત જાણવા મળી છે. વારાણસી બેઠકની ચૂંટણીમાં ભાજપના મોદીએ આપના અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. ત્રીજા ક્રમાકે કોંગ્રેસના અજય રોય, ચોથા સ્થાને બસપાના વિજય જયસ્વાલ અને પાંચમા સ્થાને સપાના કૈલાશ ચૌરસિયા રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter