અમદાવાદઃ વિદેશથી આવનારા લોકો સાથે નોવેલ કોરોના વાઈરસ ભારતમાં ન પ્રવેશે તે માટે સરકાર સરકારે તમામ વિઝા રદ કરતાં ફીલીપાઇન્સ અને મલેશીયાથી આવતા લોકોને પણ ભારતમાં નો એન્ટ્રી જાહેર કરી હતી. દરમીયાન ફીલીપાઇન્સ સરકારે વિદેશીઓને બુધવારે 72 કલાકમાં દેશ છોડી દેવા આદેશ કર્યો હતો. જેના પગલે ફીલીપાઇન્સમાં રહીને અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા દ્વારા પોતાની મુશ્કેલી ભારત સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. જેની જાણ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી. કે. પટેલને થતા તેમણે તાત્કાલિક દિલ્હી ખાતે ભારત સરકારના ગૃહમંત્રીનો બુધવારે મોડી રાતે સંપર્ક કર્યો હતો અને ગૃહમંત્રાલયની સૂચના બાદ ફીલીપાઇન્સ સરકારે તત્કાળ સાનુકૂળ પ્રતિસાદ આપ્યો હતો.
સી. કે. પટેલની મધ્યસ્થીને પગલે ૭૨ કલાકની સમય મર્યાદા દૂર કરાઈ હતી. જેને કારણે ફીલીપાઇન્સમાં અટવાયેલા વિદ્યાર્થીઓને રાહત મળી હતી. આ અંગે સી. કે. પટેલે જણાવ્યું હતું કે વિશ્વ ગુજરાતી સમાજે માત્ર ગુજરાતીઓ નહિ પરંતુ તમામ ભારતીયો માટે ચિંતા કરીને તેમને સમયસર રાહત આપવા મહત્ત્વની ભૂમિકા ભજવી છે.