નવી દિલ્હીઃ ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલે 18 મેના રોજ ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (એસએનએસસી)ના સચિવ અલી અકબર અહ્મદિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતમાં ભારત-ઈરાન વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરાઇ હતી. ખાસ તો ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (આઇએનએસટીસી) પર ભાર મૂકાયો હતો.
ભારતે પ્રાદેશિક સ્થિરતામાં ઈરાનની રચનાત્મક ભૂમિકાની પ્રશંસા કરી અને ચાબહાર પ્રોજેક્ટ પર સહયોગ વધારવામાં ભારતની રુચિ વ્યક્ત કરી હતી. આ પ્રોજેક્ટ ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ પૂરો પાડે છે.
અહ્મદિયાને રાજકીય અને આર્થિક સહયોગની વિશાળ સંભાવના અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ચાબહાર અને આઈએનએસટીસી જેવા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સની પ્રગતિને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ રાજદ્વારી સંપર્કને પાકિસ્તાનને ઘેરી લેવાની ભારતની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે. ખાસ કરીને તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ અને અફઘાનિસ્તાન સાથે ભારતના વધતા સંબંધોના સંદર્ભમાં. પાકિસ્તાન ચાબહારને તેના ભૂ-રાજકીય ઘેરાબંધી તરીકે જુએ છે.
ચાબહાર પોર્ટઃ પાક.ના ગ્વાદર બંદરને ટક્કર
ભારતે 2016માં ઈરાનના ચાબહાર પોર્ટના વિકાસ માટે રૂ. 3,750 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. ભારતે 187.5 કરોડના ખર્ચે 6 મોબાઇલ હાર્બર ક્રેન અને અન્ય સાધનો પૂરા પાડયા છે. ચાબહાર પોર્ટ ભારતને પાકને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધો પ્રવેશ પ્રદાન કરે છે. તે ચીન દ્વારા વિકસાવવામાં આવી રહેલાં પાકિસ્તાનના ગ્વાદર બંદર સાથે સ્પર્ધા કરવામાં મદદ કરશે.
આઈએનએસટીસીઃ મધ્ય એશિયા અને રશિયા-યુરોપ સુધી પહોંચ
ભારત, ઈરાન અને રશિયાએ સેન્ટ પીટર્સબર્ગમાં 12 સપ્ટેમ્બર 2000ના રોજ આઈએનએસટીસી કરાર પર હસ્તાક્ષર કર્યા. 7,200 કિમી લાંબો મલ્ટી-મોડલ નેટવર્ક કોરિડોર ભારત, ઈરાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપને સમુદ્ર, રેલ અને રોડ માર્ગો દ્વારા જોડે છે. આ કોરિડોર દ્વારા માલ મોકલવાથી પરંપરાગત રૂટની સરખામણીમાં 40 ટકા સમય અને 30 ટકા ખર્ચ બચે છે. આ કોરિડોરથી ઈરાન એક ટ્રાન્ઝિટ હબ તરીકે ઉભરી રહ્યું છે.