અમૃતસરમાં દશેરાએ ટ્રેન ‘રાવણ’ બનીઃ ૬૫નાં મોત, ૨૦૦થી વધુને ઇજા

Saturday 20th October 2018 06:01 EDT
 
 

અમૃતસરઃ સમગ્ર દેશમાં એક તરફ ઉમંગઉલ્લાસભેર દશેરા પર્વની ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ પંજાબના અમૃતસરમાં કાળનો પંજો ફરી વળ્યો હતો. શહેરના ધોબીઘાટ વિસ્તારમાં જૌરા ફાટક રેલવે ક્રોસિંગ નજીક શુક્રવારે મોડી સાંજે રાવણદહન કાર્યક્રમ વેળા સર્જાયેલી એક કરુણાંતિકામાં ૬૨ લોકો ટ્રેન નીચે કચડાઇ ગયા હતાં. લોકો રેલવે ટ્રેક પર ઉભા રહીને રાવણદહન કાર્યક્રમ નિહાળી રહ્યા હતા ત્યારે ટ્રેન ધસી આવતા આ દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માતનો ભોગ બનેલા ૨૦૦થી વધુને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા છે.

રાવણદહનનો કાર્યક્રમ જોવામાં મશગૂલ લોકો ચિચિયારીઓ અને ફટાકડાના ધૂમધડાકામાં ટ્રેનની વ્હીસલનો અવાજ સાંભળી શક્યા નહોતા અને પળવારમાં મોતના મુખમાં હોમાઇ ગયા હતા. ઇજાગ્રસ્તોની સંખ્યા મોટી હોવાથી મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ પ્રવર્તે છે. પંજાબ સરકારે ઘટના બાદ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ આ ઘટના અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.

જૌરા બજાર ખાતે રેલવે ટ્રેક નજીક દશેરા પર્વ નિમિત્તે રાવણદહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રાવણ દહન માટે રેલવે ટ્રેક નજીકનાં સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હતાં. રેલવે ટ્રેકથી માંડ ૩૦ મીટર દૂર ઊંચા પૂતળાનું દહન શરૂ થતાં જ પૂતળાની નજીક ઊભેલા લોકોમાં ભાગદોડ મચી હતી. ફટાકડાથી બચવા લોકો રેલવે ટ્રેક તરફ પાછા હટી રહ્યાં હતાં. આ જ સમયે પઠાણકોટથી અમૃતસર જઇ રહેલી ટ્રેન પુરઝડપે આવી પહોંચતાં ટ્રેક પર આવી ગયેલાં લોકોને અડફેટે લીધાં હતાં. મોટી સંખ્યામાં ટ્રેક પર આવી ગયેલાં લોકોમાંથી કોઇનું આતશબાજીના અવાજમાં ધસમસતી આવી રહેલી ટ્રેન તરફ ધ્યાન ગયું નહોતું અને પૂરપાટ દોડી રહેલી ટ્રેને સંખ્યાબંધ લોકોને કચડી નાખ્યાં હતાં.

દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, રેલવે રાહત અને બચાવના તાત્કાલિક પગલાં ભરી રહી છે. બીજી તરફ પંજાબ સરકારે દુર્ઘટનાની તપાસના આદેશ જારી કર્યાં છે.

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે અકસ્માતમાં માર્યા ગયેલાં લોકોના પરિવારજનોને પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમામ ઇજાગ્રસ્તોને સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. મેં જિલ્લા સત્તાવાળાઓને યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવાના આદેશ આપી દીધાં છે.

બે ટ્રેન સામસામે આવી અને...

ઉત્તર રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસરે જણાવ્યું હતું કે રાવણદહન વખતે ફટાકડા ફૂટતાં લોકો ગેટ નંબર ૨૭ તરફ ભાગવા લાગ્યા હતા અને તે વખતે જ ટ્રેન તે ગેટ આગળથી પસાર થઇ હતી. ઘટના બની ત્યારે આ ટ્રેન જલંધરથી અમૃતસર આવી રહી હતી. ટ્રેક નજીક ગ્રાઉન્ડ પાસે ૩૦૦થી વધુ લોકો રાવણદહન જોઇ રહ્યા હતા. ઘટના વિશે એવું કહેવાય છે કે રાવણ દહનની સાથે ફટાકડાનો અવાજ શરૂ થતાં જ લોકો ટ્રેક્સ તરફ આવવા લાગ્યા હતા અને ત્યાં પહેલેથી જ ઘણાં લોકો હોવાથી ભીડ અચાનક વધી ગઇ હતી અને એવામાં ટ્રેન પસાર થઇ હતી. સામસામેથી એકસાથે બે ટ્રેનો આવતી હોવાથી લોકોને બચવાનો પણ સમય મળ્યો નહોતો.

સિદ્ધુના પત્ની ઘટનાસ્થળેથી નાસ્યાં

કોંગ્રેસના નેતા દ્વારા આયોજિત રાવણદહનના કાર્યક્રમમાં પંજાબના ટૂરિઝમ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુનાં પત્ની નવજોત કૌર સિદ્ધુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે રાવણદહન પહેલાં નવજોત કૌરે ભાષણ આપ્યું હતું. રાવણદહન શરૂ થતાં જ ટ્રેન આવી અને સેંકડોને કચડીને દોડી ગઇ પરંતુ નવજોત કૌર પોતાની કારમાં બેસીને રવાના થઇ ગયાં હતાં. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, નવજોત કૌર પોતે એક ડોક્ટર છે. તેઓ ઘટનાસ્થળે ઘાયલોની મદદ કરવાને બદલે નાસી છૂટયાં હતાં. લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ધારાસભ્ય એવા નવજોત સિદ્ધુ અહીં આવીને માફી માગે અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દે. બીજી તરફ નવજોત સિદ્ધુએ જણાવ્યું હતું કે, હું આ અકસ્માતથી ઘણો દુઃખી છું.

કરુણાંતિકા અને રહસ્યમય સવાલો

• રેલવે ટ્રેકની આટલી નજીક રાવણદહનની પરવાનગી કોણે આપી?

• રેલવે ટ્રેક નજીક આટલી મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હોવા છતાં સુરક્ષાની વ્યવસ્થા કેમ નહીં? લોકોને રેલવે ટ્રેક પર કોણે એકઠાં થવા દીધાં?

• ભરચક વિસ્તારમાંથી ટ્રેનને આટલી પુરપાટ ઝડપે પસાર થવાની પરવાનગી શા માટે?

• રાવણદહનમાં ભાગ લેવા આવેલા લોકોને નિયંત્રિત કરવા પોલીસ હતી કે કેમ?

• ટ્રેન પસાર થતી હોવાની જાણકારી અપાઇ હતી કે કેમ?

• ટ્રેનના ડ્રાઇવરે લોકોની ભીડને જોઇ હોર્ન વગાડી ચેતવણી આપી હતી કે કેમ?

• સ્થાનિકોનો આરોપ છે કે, ઘટનાસ્થળ નજીક આવેલું રેલવે ક્રોસિંગ ટ્રેન આવી રહી હોવા છતાં બંધ કરાયું ન હતુ.

• રાવણદહનમાં એવા તે કેવા વિસ્ફોટકો વાપરવામાં આવ્યા કે લોકોમાં ભાગદોડ મચી ગઈ?

હૃદય હચમચાવી દેતી ઘટના: વડા પ્રધાન

વડા પ્રધાન મોદીએ કરુણાંતિકા પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાથી અત્યંત દુઃખી છું. આ કરુણાંતિકા હૃદય હચમચાવી નાખે તેવી છે. હું મૃતકોના પરિવારોને દિલાસો પાઠવું છું અને ઇજાગ્રસ્તોની ઝડપી તંદુરસ્તી પ્રાર્થના કરું છું.

રેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, પંજાબનાં અમૃતસર ખાતે સર્જાયેલી ટ્રેન કરુણાંતિકા અંગે સાંભળીને ઘણો આઘાત લાગ્યો છે. રેલવે અને સ્થાનિક સત્તાવાળા અસરગ્રસ્ત લોકોને મદદ કરે. હું મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવું છું.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પંજાબનો ટ્રેન અકસ્માત આઘાતજનક છે. હું રાજ્ય સરકાર અને કોંગ્રેસના કાર્યકરોને તાત્કાલિક રાહતકાર્યમાં જોડાઇ જવા અપીલ કરું છું. મૃતકોના પરિવારજનોને મારી દિલસોજી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પંજાબમાં દશેરાની ઉજવણી દરમિયાન સર્જાયેલી ટ્રેન કરુણાંતિકા દરમિયાન ગુમાવેલા જીવનોની પીડા માટે મારી પાસે શબ્દો નથી. હું મૃતકોના પરિવારજનોને દિલાસો પાઠવું છું અને ઇજાગ્રસ્તો માટે મારી પ્રાર્થના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter