નવી દિલ્હીઃ ભારતીય સશસ્ત્ર દળોએ પડોશી આતંકી દેશ પાકિસ્તાન સામે હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’માં દેશની રક્ષા કાજે શહીદ થયેલા છ બહાદુર જવાનોના નામ પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ શહીદોમાં સેનાના પાંચ જવાનો અને વાયુસેનાના એક જવાનનો સમાવેશ થાય છે. આ ગૌરવવંતા નામોને હવે નવી દિલ્હી સ્થિત ‘નેશનલ વોર મેમોરિયલ’ની વેબસાઇટના ‘રોલ ઓફ ઓનર’માં સામેલ કરવામાં આવ્યા છે.
નેશનલ વોર મેમોરિયલની થ્રી-ડી વોલ પર વર્ષ 2025ના વિભાગમાં આ વીર જવાનોના નામ કંડારવામાં આવ્યા છે. મેમોરિયલના ‘ત્યાગ ચક્ર’માં 16 ગોળ ગ્રેનાઈટની દીવાલો આવેલી છે. જેના પર સ્વતંત્રતા બાદ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ સૈનિકોના નામ, રેન્ક અને તેમની યુનિટની વિગતો અંકિત છે. જેમાં હવે આ છ જવાનોના નામ પણ શોભી રહ્યા છે.
દેશના આ છ સપૂતોમાંથી બે જવાનોને તેમની અપ્રતિમ બહાદુરી બદલ મરણોત્તર વીરતા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. આ અંતર્ગત રાઈફલમેન સુનિલ કુમારને મરણોત્તર ‘વીર ચક્ર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને અપ્રતીમ શૌર્ય દાખવવા બદલ મરણોત્તર ‘વાયુ સેના મેડલ’ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓ દ્વારા ભારતીય પર્યટકો પર કાયરતાપૂર્ણ આતંકી હુમલો થયો હતો, જેમાં 26 પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આ આતંકી હુમલાનો વળતો જવાબ આપતા ભારતીય સેનાએ છ અને સાત મેની મધ્યરાત્રિએ પાક. કબજાગ્રસ્ત કાશ્મીરમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા. આ ઓપરેશનમાં 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ‘એર વોર’ ચાલ્યું હતું.
વીર જવાનોની સાહસગાથા
• સૂબેદાર મેજર પવન કુમાર
હેડ ક્વાર્ટર 10મી ઈન્ફન્ટ્રી બ્રિગેડ
બે મહિના પછી નિવૃત્ત થવાના હતા. અંતિમ પોસ્ટિંગ માટે તેમણે જાતે સરહદી વિસ્તાર પસંદ કર્યો હતો. રાજૌરીમાં ફરજ દરમિયાન પાક.ની ફાયરિંગમાં ઘાયલ થઈને શહીદ થયા હતા.
• રાઈફલમેન સુનીલ કુમાર
4 જમ્મુ અને કાશ્મીર લાઈટ ઇન્ફન્ટ્રી
દુશ્મન છેક બંકર સુધી આવી ગયો હતો. પોતાના જીવની પરવા કર્યા વિના બહાર નીકળ્યા. દુશ્મનને મારીને ચોકી બચાવી. ઘાયલ થવા છતાં અડીખમ રહ્યા અને વીરગતિ પામ્યા હતા.
• લાન્સ નાયક દિનેશ કુમાર
5 ફિલ્ડ રેજિમેન્ટ
પૂંચ સરહદ પર તૈનાત હતા. પાકિસ્તાની ગોળીબારના જવાબમાં 4 સાથી સાથે મોરચો સંભાળ્યો. ત્યાં જ શહાદત વહોરી હતી. પત્ની તે સમયે ગર્ભવતી હતા.
• અગ્નિવીર એમ મુરલી નાઈક
851 લાઈટ રેજિમેન્ટ
ઉરી સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાની ગોળીબાર વચ્ચે ઘૂસણખોરી રોકવા માટે મોરચો સંભાળ્યો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ 9 મેના રોજ વીરગતિ પ્રાપ્ત કરી.
• હવાલદાર સુનીલ કુમાર
237 ફિલ્ડ વર્કશોપ કંપની
પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિ સમયે સમયસર સૂચના આપી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં પોસ્ટ પર અડીખમ રહ્યા. તેમને સેના મેડલ (વીરતા)થી નવાજવામાં આવ્યા છે.
• સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર
39 વિંગ, ભારતીય વાયુસેના
મેડિકલ આસિસ્ટન્ટ હતા. અગ્રીમ મોરચા પર અડીખમ રહ્યા. આરએસ પુરામાં હુમલાઓ વચ્ચે તબીબી સહાય પહોંચાડી. કર્તવ્ય નિભાવતા પોતાનું બલિદાન આપી દીધું.


