ચિનાબ રેલવે બ્રિજના પાયામાં છે માધવી લતાનું જ્ઞાન અને કૌશલ્ય

Wednesday 11th June 2025 04:46 EDT
 
 

આજે સહુ કોઇના મોઢે કાશ્મીરમાં ચિનાબ નદી પર સાકાર થયેલા 359 મીટર ઊંચા રેલવે બ્રિજની ચર્ચા છે. આ પુલના નિર્માણમાં આઠ વર્ષ લાગ્યા છે, પણ પ્રોજેક્ટની તૈયારી બે દસકા કરતાં પણ વધુ વર્ષોથી ચાલી રહી હતી. અને આમાં ડો. જી. માધવી લતા અને તેમની ટીમનું મૂલ્યવાન યોગદાન છે. માધવી લતાએ વર્ષ 2005થી 17 વર્ષ સુધી આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ છે, જે કુલ 272 કિમી લાંબો છે. પુલનિર્માણને વર્ષ 2002માં મંજૂરી અપાઈ હતી, પરંતુ કામ શરૂ થયું છેક 2017માં. આ પુલનું નિર્માણ કન્યાકુમારીથી કાશ્મીર સુધી રેલવે કનેક્શનનું સપનું પૂરું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પડાવ છે.
આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરવામાં, કાશ્મીરની ધરતીને સમજવામાં નોંધપાત્ર સમય પસાર કરનારા જિયો-ટેકનોલોજી એક્સપર્ટ માધવી લતાનું આગવું યોગદાન છે. માધવી લતા હાલમાં ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી)માં એચએજી પ્રોફેસર છે. જિયો-ટેક્નોલોજી એન્જિનિયરિંગમાં ડોક્ટરેટની પદવી મેળવનાર માધવી લતા 2021માં ભારતીય જિયો-ટેક્નોલોજી સોસાયટી તરફથી સર્વશ્રેષ્ઠ મહિલા જિયો-ટેક્નોલોજી રિસર્ચ એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યાં છે.
ચિનાબ આર્ક બ્રિજની એક ઘટના બહુ ચર્ચિત છે કે જ્યારે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે ત્યાંના ખડકોમાં જોવા મળતી વિવિધતાએ એન્જિનિયરોને ચિંતામાં મુકી દીધા હતા. વૈશ્વિક સ્તરનું અદ્ભૂત કન્સ્ટ્રક્શન બની રહ્યું હોય ત્યારે ત્યાંની જમીન અને ભૂગોળ આ સમગ્ર બ્રિજના કાર્યને કેવી રીતે સપોર્ટ કરશે તે વિષય જિયો-ટેકનોલોજીનો છે. ચિનાબ બ્રિજના નિર્માણ પાછળ ત્યાંનો પડકારજનક ભૂપ્રદેશ, કાશ્મીરનું બદલાતું જતું હવામાન અને આ વિસ્તારની માટીની તાસીરને કારણે બાંધકામ મુશ્કેલ હતું.
ભૂકંપની દૃષ્ટિએ આ ક્ષેત્ર સેસ્મિક ઝોન-4માં છે. આથી પુલને સેસ્મિક ઝોન-5માં પણ ટકી શકે તેવી રીતે તૈયાર કરાયો છે. એટલે કે રિક્ટર સ્કેલ પર 7 કે 8ની તિવ્રતાનો ભૂકંપ આવે તો પણ આ પુલ સુરક્ષિત રહી શકે. વધુમાં આ પુલ પ્રતિ કલાક 265 કિમીની ગતિએ ફૂંકાતા પવનનો પણ સામનો કરી શકે છે અને પુલ પર ટ્રેન પ્રતિ કલાક 100 કિમીની ઝડપે દોડી શકશે. પુલમાં એવી ટેક્નોલોજી છે કે કોઈ પણ જોખમ વોર્નિંગ એલાર્મ વાગી ઊઠશે. ડો. માધવી લતાની ટીમે તમામ અવરોધો દૂર કરવા માટે ડિઝાઇન-એઝ-યુ-ગો અભિગમ અપનાવ્યો હતો. મતલબ કે ભૂસ્તરીય પરિસ્થિતિ જેવી કે ફ્રેક્ચર્ડ ખડકો, છુપાયેલા કેવિટીઝ, અને વિવિધ ખડકોના ગુણધર્મો, જે પ્રારંભિક સર્વેમાં સ્પષ્ટ ન હતા, તેના આધારે રિઅલ-ટાઇમમાં જમીની સ્તરની સ્થિતિ જોઈને પુલની ડિઝાઈનમાં ફેરફાર કરવો. માધવી લતાની ટીમે બાંધકામ દરમિયાન મળેલી વાસ્તવિક ખડકની સ્થિતિઓની આસપાસ કામ કરવા માટે જટિલ ગણતરીઓ અને ડિઝાઇનમાં ફેરફારો કર્યા અને આ બ્રિજની સ્થિરતા સુધારવા માટે રોક એન્કરની ડિઝાઇન અને પ્લેસમેન્ટ પર વધુ કામ કર્યું.
માધવી લતાએ તાજેતરમાં ‘ઇન્ડિયન જિયો-ટેકનિકલ જર્નલ’ના વિશેષાંકમાં Design as You Go: The Case Study of Chenab Railway Bridge શિર્ષક હેઠળ પેપર પ્રકાશિત કર્યું છે, જેમાં બ્રિજની ડિઝાઇન કેવી રીતે સતત વિકસિત થઈ, જેમાં ફક્ત એકંદરે માળખું, સ્થાન અને પ્રકાર જ સ્થિર રહ્યા તેનું વર્ણન છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ચિનાબ નદી પર બનેલો દુનિયાનો આ સૌથી ઊંચો આર્ક બ્રિજ મજબૂત બનાવવાનું પણ ભારત માટે અત્યંત મહત્વનું હતું. આ કારણે વિસ્ફોટકોની મદદથી બ્રિજને કોઈ નુકસાન ના પહોંચે તેનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. આ માટે બ્રિજના પીલર પણ એવી જ પેટર્નથી તૈયાર કરાયા છે. માધવી લતાએ ચિનાબ આર્ક બ્રિજના જિયો-ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે તે જ રીતે પુલની મજબૂતાઈ અને સુરક્ષાના સંદર્ભમાં ડીઆરડીઓની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે.
28 હજાર મેટ્રિક ટન સ્ટીલ, 46 હજાર ક્યુબિક મીટર કોંક્રિટ
બ્રિજના નિર્માણમાં 28,660 મેટ્રિક ટન સ્ટીલ તથા 46,000 ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ થયો છે. આ પુલમાં 6 લાખથી વધુ બોલ્ટ લાગેલા છે. આ પુલની કુલ લંબાઈ 725 મીટર છે. પુલના ડેકની કુલ પહોળાઈ 15 મીટર છે. પુલ 82 મીટરથી લઈને 295 મીટર સુધીના 96 કેબલ પર ટકેલો છે. આ બ્રિજને આતંકીઓ કોઈ નુકસાન ના પહોંચાડી શકે તે માટે તેને બ્લાસ્ટ પ્રૂફ બનાવાયો છે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌડી વચ્ચે ચિનાબ નદી પર બનેલો આ પુલ ભારતીય એન્જિનિયરિંગનું એક અનોખું મોડેલ છે. આ બ્રિજને કોઈપણ પ્રકારના હુમલાથી કેવી રીતે સલામત રાખી શકાય તે માટે ડીઆરડીઓએ અચૂક પ્લાનિંગ કર્યું હતું. કોઈ આતંકી 40-50 કિલો વિસ્ફોટકો લઈને હુમલો કરે તો પણ પુલને નુકસાન નહીં પહોંચે.
ઘોડા-ખચ્ચરોની મદદથી બન્યો દુનિયાનો સૌથી ઊંચો પુલ
હિમાલયના ઊંચા-નીચા પર્વતો પર દુનિયાનો સૌથી ઊંચો પુલ બનાવવાનું કામ અત્યંત મુશ્કેલ હતું. આ વિસ્તારમાં પાકા રસ્તા પણ નહોતા ત્યારે પુલના નિર્માણ સ્થળ સુધી પહોંચવું જ સૌથી મોટો પડકાર હતો. કારણ કે તે સમયે ત્યાં કોઈ પાક્કો જ નહીં કાચો રસ્તો પણ નહોતો. પર્વતો પર માત્ર સાંકડી પગદંડીઓ હતી. આજે ત્યાં 360 મીટર ઊંચો રેલવે પુલ ઊભો છે. પુલ માટે સામાન લઈ જવા માટે સૌથી પહેલાં ઘોડા અને ખચ્ચરોની મદદ લેવાઈ હતી. અફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. નામની કંપનીએ કહ્યું શરૂઆતમાં પ્રોજેક્ટ ટીમના સભ્યોને ખચ્ચરો અને ઘોડાની મદદથી સાઈટ સુધી પહોંચાડાતા હતા. ધીમે ધીમે ત્યાં અસ્થાયી માર્ગ બનાવાયો અને પછી તેને સ્થાયી અને પાક્કા રસ્તામાં ફેરવાયો હતો.
ચિનાબ નદીના ઉત્તરીય તટ પર 11 કિમી અને દક્ષિણ તટ પર 12 કિમી લાંબો રસ્તો બનાવવામાં આવ્યો, જેના પર ભારે-ભરખમ મશીનો, સ્ટીલ અને અન્ય જરૂરી સામાન સાઈટ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. એન્જિનિયરિંગની કમાલ એવા આ પુલના નિર્માણની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ના થાય તે માટે પ્રોજેક્ટ સ્થળ પર જ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝથી પ્રમાણિત લેબ સ્થાપિત કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter