ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રાવતના હેલિકોપ્ટરને અકસ્માત કે ષડયંત્ર?

Wednesday 15th December 2021 05:39 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત તથા તેમના પત્ની મધુલિકા રાવત તેમજ સૈન્યના ૧૧ અધિકારીઓ-જવાનોને લઇ જતાં હેલિકોપ્ટરને તમિલનાડુમાં નીલગીરીની પહાડીઓમાં નડેલા અકસ્માતમાં ગ્રૂપ કેપ્ટન વરુણસિંહ સિવાય તમામ પ્રવાસીનાં મોત નીપજ્યા છે.
જોકે, આ અકસ્માત મામલે હાલ અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે, જેમાં અકસ્માત પાછળ ચીનનો હાથ હોવાની અટકળો પણ થઈ રહી છે. બીજી તરફ, ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં લોકોને ભારપૂર્વક અનુરોધ કર્યો છે કે આ દુર્ઘટના અંગે કોઇ અટકળો ન કરવી જોઇએ અને સેનાની ત્રણેય પાંખો દ્વારા થઇ રહેલી તપાસના તારણ સુધી રાહ જોવી જોઇએ.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં કરેલા નિવેદન અનુસાર સુલુર એરબેઝ પરથી રવાના થયેલું હવાઇદળનું એમઆઇ-૧૭ વીફાઇવ હેલિકોપ્ટર ૧૨.૧૫ વાગ્યે વેલિંગ્ટન ખાતે ઉતરવાનું હતું પણ હેલિકોપ્ટરે ૧૨.૦૮ વાગ્યે સુલુર એરબેઝનો સંપર્ક ગુમાવી દીધો હતો.

રાવત ચીનને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા
હેલિકોપ્ટરનો જે સંજોગોમાં અકસ્માત થયો છે અને જે સમયે થયો છે તેના કારણે અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા સીડીએસ જનરલ બિપિન રાવત હાલ ભારતીય સંરક્ષણ દળોની કાયાપલટ કરી તેને થિયેટર કમાન્ડમાં ફેરવવાની ખૂબ મહત્વની કામગીરી સંભાળી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વીય લદ્દાખમાં ગયા વર્ષે એલએસી પર ચીન સાથેના ઘર્ષણ પછી બિપિન રાવતની વ્યૂહરચનાએ ચીનના બદઈરાદાઓને સફળ થવા દીધા નથી. વધુમાં દેશમાં નેતાઓ ચીનનું નામ લેવામાં ખચકાતા હોય છે ત્યારે જનરલ બિપિન રાવતે અનેક વખત બંને દેશો વચ્ચેના ઘર્ષણ માટે ચીનને સીધેસીધું જવાબદાર ઠરાવ્યું હતું. આથી પણ બિપિન રાવત ચીનને આંખમાં કણાની માફક ખૂંચતા હતા. ચીન યુદ્ધમાં જીતવા માટે તમામ પ્રકારની રસમો અપનાવવા માટે જાણીતું છે.

તાઇવાનની હેલિકોપ્ટર દુર્ઘટના સાથે સમાનતા
હાલ ચીને ભારત અને તાઇવાન સામે શિંગડા ભેરવેલાં છે. ૨૦૨૦ના જાન્યુઆરીમાં આવી જ એક ઘટનામાં તાઇવાનના ટોચના લશ્કરી અધિકારી ૬૨ વર્ષના ચીફ ઓફ જનરલ સ્ટાફ શેન યી મિંગને લઇ જતું યુએચ-૬૦ એમ હેલિકોપ્ટર તુટી પડયું હતું. આ હેલિકોપ્ટર તાઇપેઇ શહેર નજીક રડાર પરથી અદૃશ્ય થઇ ગયું હતું અને તેણે ઉડાન ભર્યા બાદ ૧૩ મિનિટમાં જ બેઝ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. આ ઘટનામાં મિંગ અને તેમની સાથે પ્રવાસ કરતાં પાંચ લોકોના મોત થયા હતા.

પાઇલટે રૂટ કેમ બદલ્યો તે મુદ્દે રહસ્ય
સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માત વિશે ભારતીય હવાઇદળમાં હેલિકોપ્ટર ઉડાડવાનો અનુભવ ધરાવતાં કૂન્નુરના રહેવાસી નિવૃત્ત હાવિલદાર આર. સુરેશકુમારે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ભારતીય હવાઇદળના હેલિકોપ્ટર વેલિંગ્ટન જવાના હોય ત્યારે ઉટીની પશ્ચિમ તરફ આવેલા પાક્કાસુરાનમલાઇનો હવાઇ માર્ગ પસંદ કરે છે.
પણ આઠમી ડિસેમ્બરે રાવતના હેલિકોપ્ટરે આ માર્ગના બદલે કાટ્ટેરી-બર્લિયાર સેકટરનો હવાઇમાર્ગ પસંદ કર્યો હતો. આ હવાઇમાર્ગ પાક્કાસુરાઇનમલાઇ અને નાન્જિપ્પાચથિરામના ઢોળાવો વચ્ચે સેન્ડવિચ થયેલો છે. વળી આ ખીણ એ સમયે ધુમ્મસભરી હતી. હેલિકોપ્ટરના પાઇલટે આ માર્ગ શા માટે પસંદ કર્યો તે એક રહસ્ય છે.
સામાન્ય રીતે નીલગીરીના પહાડોમાં વીવીઆઇપીના હેલિકોપ્ટર ઉડવાના હોય તો તેને માટે વેધર ક્લિયરન્સ ફરજિયાત છે. બુધવારે કૂન્નુરમાં વાતાવરણ ધુમ્મસછાયું હતું આમ છતાં સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી અપાઈ હતી. આ મામલે પણ તપાસની જરૂર છે. સામાન્ય રીતે હવામાન સ્પષ્ટ ન હોય તો વીવીઆઇપીઓને રોડ માર્ગે રવાના થવાની સલાહ અપાય છે.
આ અકસ્માતના રહસ્યને ખોલવા માટે અધિકારીઓએ પાઇલટ અને વેલિંગ્ટન હેલિપેડ એરબેઝ અથવા કોઇમ્બતુરમાં હવાઇદળના એરોડ્રોમ સાથે કોઇ સંપર્ક કર્યો હતો કે કેમ તેની તપાસ કરવી જરૂરી છે.

તાજેતરના વર્ષોમાં ભારતીય સંરક્ષણ દળોમાં ધરમૂળથી ફેરફાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ભારતે પણ વિદેશમાં તેજસ ફાઇટર જેટ વિમાનો વેચવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત ચીન સામે ભારતના લશ્કરને સુસજ્જ બનાવવા માટે સીડીએસ બિપિન રાવતે ત્રણેય સેનાઓને સાંકળતું મહત્ત્વનું થિયેટર કમાન્ડ સ્થાપવાની કામગીરી પણ શરૂ કરી હતી. આમ, એકસાથે અનેક ઘોડે સવાર સીડીએસ બિપિન રાવતના નિધનથી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા સુધારા પર પણ મોટી અસર પડશે તેમાં બેમત નથી.

બ્લેક બોક્સ મળ્યું, રહસ્ય પરથી પડદો ઊંચકાશે
તામિલનાડુમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા ભારતીય વાયદળના હેલિકોપ્ટરનું ફ્લાઈટ ડેટા રેકોર્ડર એટલે કે બ્લેક બોક્સ નવમી ડિસેમ્બરે દુર્ઘટના સ્થળેથી મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાને એરમાર્શલ માનવેન્દ્ર સિંહના અધ્યક્ષપદે ત્રણેય સૈન્યની એક-એક ટૂકડી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર ગ્રૂપ કેપ્ટન વરુણસિંહ પર અત્યાર સુધીમાં ત્રણ ઓપરેશન કરાયા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. બ્લેકબોક્સ શોધવા માટે જવાનોએ તપાસનો દાયરો દુર્ઘટના સ્થળથી ૩૦૦ મીટરથી વધારીને એક કિમી કર્યો હતો, ત્યાર પછી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. ફ્લાઈટ ડેટા રેકોર્ડર સહિત બે બોક્સ એક સ્થળેથી મળ્યા છે. બ્લેકબોક્સથી અકસ્માતનું કારણ જાણવા મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter