રામમંદિર નિર્માણ માટે જમીનનો ટુકડો નહીં, પૂરી જમીન જોઈએ: ધર્મસભામાં બુલંદ અવાજે માગ

Monday 26th November 2018 05:00 EST
 
 

અયોધ્યાઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રવિવારે યોજાયેલી ધર્મસભામાં બુલંદ અવાજે માગ કરવામાં આવી હતી કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે જમીનનો ટુકડો નહીં, પૂરેપૂરી જમીન જોઇએ. ધર્મસભામાં હાજરી આપવા દેશભરમાંથી સંતો-મહંતો, સાધુ-સંતો તેમજ સંઘ અને વિહિપના નેતાઓ અને કાર્યકરો હજારોની સંખ્યામાં ઊમટી પડયા હતા. ધર્મસભામાં ૨ લાખથી વધુ કાર્યકરોની હાજરી જોવા મળી હતી. આશરે પાંચ કલાક કરતાં વધુ સમય ચાલેલી ધર્મસભામાં સૌએ એક સૂરે અયોધ્યામાં વહેલામાં વહેલી તકે રામમંદિર બાંધવાની બુલંદ માગણી કરી હતી.
વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)એ ધર્મસભામાં આક્રમક અભિગમ દર્શાવતા સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી હતી કે રામમંદિર બાંધવા તેને પૂરેપૂરી જમીન જોઈએ. સરકાર કે કોર્ટ અમને જમીનનો ટુકડો આપે તે કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. વિવાદિત જમીન પર મુસ્લિમોને કોઈ પણ સંજોગોમાં નમાજ પઢવા દઈશું નહીં. સંગઠનના ઉપાધ્યક્ષ ચંપત રાયે કહ્યું હતું કે, જ્યારે અર્જુન સમજતો ન હતો ત્યારે કૃષ્ણ ભગવાને મોઢું ખોલ્યું હતું, આ કામ આજે અમે કરી રહ્યા છીએ. અયોધ્યામાં ફક્ત રામમંદિર જ જોઈએ. મસ્જિદને કોઈ સ્થાન નથી. અમને પૂરેપૂરી જમીન જોઈએ. જમીનના ભાગલા પડશે નહીં. સુન્ની વકફ બોર્ડ જમીન પરની માલિકીનો દાવો છોડે તેવી માગણી પણ વિહિપે કરી હતી.

ધર્મસભામાં રામજન્મભૂમિ ન્યાસના મહંત નૃત્યદાસજીને મંચ પર સૌથી આગળ બેસાડવામાં આવ્યા હતા. તેમની સાથે જગદ્ગુરુ રામાનંદાચાર્ય, સ્વામી હંસદેવાચાર્ય, રામભદ્રાચાર્ય, રામેશ્વરદાસ વૈષ્ણવ વગેરે મંચસ્થ હતા. આ ઉપરાંત હરિદ્વાર, અયોધ્યા અને અન્ય સ્થળોએથી આવેલા સંતો-મહંતોને પણ મંચ સ્થાન આપવામાં આવ્યું હતું. ધર્મસભામાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે હજારો શિવસૈનિકો સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિવસૈનિકો મહારાષ્ટ્રથી બે ખાસ ટ્રેનમાં અયોધ્યા પહોંચ્યા હતા. આ ધર્મસભામાં કિન્નરોએ હાજરી આપી હતી તો મુસ્લિમ યુવકે રામભક્તો પર ફૂલ વરસાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

હિંદુઓની કસોટી ન કરો

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું હતું કે, છેલ્લાં સાડા ચાર વર્ષમાં ભાજપ સરકારે રામમંદિર બનાવ્યું ન હોવાથી અમને આ આંદોલન કરવાની ફરજ પડી છે. જો કોંગ્રેસના રાહુલ ગાંધી જાહેરમાં અમને કહેશે કે તેઓ રામમંદિરનું નિર્માણ કરશે તો અમે તેમને સમર્થન આપીશું. અમે ભાજપની કોઈ મદદ નથી કરી રહ્યા કે તેવું વાતાવરણ પણ નથી સર્જી રહ્યા. ધર્મસભામાં જણાવાયું હતું કે હિંદુઓની ધીરજની કસોટી ન કરો. આજે ૪૮ જિલ્લામાંથી જ રામભક્તો આવ્યા છે ભવિષ્યમાં વધુ લોકો ઊમટી પડશે. સરકાર સંસદમાં શિયાળુ સત્રમાં રામમંદિર માટે વટહુકમ બહાર પાડે અને જલદીમાં જલદી મંદિરનું બાંધકામ શરૂ કરે.

રામમંદિર નિર્માણનો ઠરાવ

ધર્મસભામાં એક અવાજે રામમંદિર નિર્માણનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જોકે આ મુદ્દે કોઇ ડેડલાઇન આપવામાં આવી નથી. આ જ રીતે ભારત સરકારને પણ વટહુકમ બહાર પાડવાની ડેડલાઈન અપાઈ નથી. હવે સરકારનાં પગલાં ઉપર સૌની નજર છે. જગદ્ગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યે ધર્મસભામાં મોદી સરકારના એક પ્રધાન સાથેની વાતચીતનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે, ૧૧ ડિસેમ્બરથી ૧૨ જાન્યુઆરી વચ્ચે રામમંદિર મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે.

સંતોને વટહુકમની આશા

ધર્મસભામાં હાજર સંતો-મહંતોને સરકાર દ્વારા મંદિર બાંધવા માટે વટહુકમ જાહેર કરાશે તેવી આશા છે. જો વટહુકમ જાહેર કરાય તો સરકાર માટે ૨૦૧૯ની ચૂંટણી જીતવાનું આસાન બનશે તેમ સંતો-મહંતોનું માનવું છે. જો સરકારે સંતો-મહંતોની વાત ના સાંભળી તો માઠાં પરિણામ માટે તૈયાર રહેવું પડશે.

ધર્મસભાનો નિર્ણય સ્વીકાર્યઃ સંઘ

ધર્મસભામાં રામમંદિર બનાવવાની પ્રબળ માગણી કરાઇ હતી અને મંદિર ઝડપથી બનાવવાની સરકારને અપીલ કરતો ઠરાવ પસાર કરાયો હતો. ધર્મસભાના મંચ પરથી જ સંઘ પરિવારના અખિલ ભારતીય સહ સરકાર્યવાહ કૃષ્ણગોપાલે જાહેરાત કરી હતી કે, ધર્મસભા જે નિર્ણય લેશે તેને સંઘ દ્વારા સ્વીકારવામાં આવશે.

નિર્ણાયક આંદોલનનો સમય: ભાગવત

અયોધ્યામાં રામ મંદિર બનાવવા સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદે બુલંદ માગણી કરી છે. બીજી તરફ, નાગપુરમાં સંઘ વડા મોહન ભાગવતે સંબોધન દરમિયાન એવું સૂચક નિવેદન કર્યું હતું કે રામ મંદિર મુદ્દે હવે ધીરજ રાખવાને બદલે આંદોલન કરવાનો સમય આવી ગયો છે. તેમનું આ નિવેદન સરકાર પર તો દબાણ સર્જનારુ છે જ, પણ તેમણે ન્યાયતંત્ર સામે પણ ટકોર કરી છે. તેમણે બાબરી મસ્જિદ મુદ્દે ચૂકાદામાં વિલંબ માટે કોર્ટને ટાર્ગેટ બનાવીને કહ્યું હતું કે ન્યાયમાં વિલંબ એ અન્યાય બરાબર છે.

મુસ્લિમોમાં ભયનો માહોલ

એક તરફ શહેરમાં ધર્મસભા યોજાઇ હતી તો બીજી તરફ અયોધ્યામાં સંઘ અને વિહિપના હજારો કાર્યકરો ઊમટી પડતાં મુસ્લિમોમાં તણાવનું મોજું ફરી વળ્યું હતું. અનિચ્છનીય ઘટના બનવાની આશંકા સાથે શહેરમાંથી હજારો મુસ્લિમ પરિવારો સંતાનો સાથે નજીકનાં સગાંવહાલાનાં ઘરે સ્થળાંતર કરી ગયા હતા. મુસ્લિમોને કોમી ભડકો થવાની ભીતિ હોવાથી મુસ્લિમ મહોલ્લા સૂમસામ બન્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter