નવી દિલ્હીઃ ભારતભરમાં ૬૯મું પ્રજાસત્તાક પર્વ ઉમંગ-ઉલ્લાસભેર મનાવાઇ રહ્યું છે. રાજપથ પર યોજાયેલી ભવ્યાતિભવ્ય પરેડની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સલામી ઝીલી હતી. પરેડમાં ભારતની સંરક્ષણ શક્તિ અને સાંસ્કૃતિક વારસાની રંગબેરંગી ઝલક જોવા મળી હતી. જોકે આ વર્ષે પરેડની સૌથી ઉલ્લેખનીય બાબત હતી ASEAN (એસોસિયેશન ઓફ સાઉથ-ઇસ્ટ એશિયન નેશન્સ) દેશોના પ્રમુખોની ઉપસ્થિતિ. ૧૦ ASEAN દેશોના વડાઓએ ભારતના પ્રજાસત્તાક સમારોહને શોભાવ્યો હતો. પરેડના પ્રારંભે રાષ્ટ્રપતિ કોવિંદે કાશ્મીરમાં શહીદ થનાર એરફોર્સ કમાન્ડર જ્યોતિ પ્રકાશ નિરાલાને મરણોત્તર અશોક ચક્ર એનાયત થયો હતો. આ સમયે તેઓ ભાવુક થઇ ગયા હતા.
પરેડ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાની પાઘડીમાં જોવા મળ્યા હતા. જ્યારે ASEAN ASEAN દેશોના વડાઓ દુપટ્ટા સાથે જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિ અને દરેક મહેમાનો પરત ફર્યા પછી વડા પ્રધાન મોદી રાજપથ પર ચાલ્યા હતા અને સામાન્ય જનતાને પણ મળ્યા હતા. પરેડ અંદાજે ૯૦ મિનિટ ચાલી હતી. જેમાં ફાઈટર પ્લેન સુખોઈ - તેજસ, હેલિકોપ્ટર્સ અને ગ્લોબલમાસ્ટરે ફ્લાઈ પાસ્ટ કર્યું. પ્લેન દ્વારા ધ્રુવ, રુદ્ર, વિક, નેત્ર, ગ્લોબલ, તેજસ અને એરોડ ફોર્મેશન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીએસએફની મહિલા કમાન્ડોએ બાઈક સ્ટંટ કર્યા હતા.
રિપબ્લિક ડે પરેડ સવારે ૧૦ વાગે શરૂ થઇ હતી અને અંદાજે ૯૦ મિનિટ સુધી ચાલી હતી. ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ૨૧ તોપની સલામી આપવામાં આવી હતી. આ પછી વિજય ચોકથી પરેડ શરૂ થઇ હતી, જે લાલ કિલ્લા પર પૂરી થઇ હતી.
૪૪ વર્ષ પછી...
ભારતમાં પહેલી વાર ૧૦ ASEAN દેશોના પ્રમુખોને મહેમાન તરીકે ગણતંત્ર દિવસે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ દેશોમાં કંબોડિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, વિયેતનામ, બ્રુનેઈ અને લાઓસ સામેલ છે. પહેલી વાર એવું બન્યું છે કે, ભારતે ગણતંત્ર દિવસના મહેમાનો બોલાવવામાં વ્યક્તિઓની જગ્યાએ પ્રદેશને મહત્ત્વ આપ્યું છે. આવું ૪૪ વર્ષ પછી થઈ રહ્યું છે. આ પહેલાં ૧૯૬૮માં અને પછી ૧૯૭૪માં એકથી વધારે વિદેશી મહેમાન બોલાવવામાં આવ્યા હતા. ૧૯૬૮માં યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ જોસફ બ્રોઝ ટીટો અને સોવિયત યુનિયનના વડા પ્રધાન એલેક્સી કોશિગિનને પણ આ દિવસે આમંત્રણ અપાયું છે. ૧૯૭૪માં ટીટો રિપબ્લિક-ડે પર શ્રીલંકાના વડા પ્રધાન સિરિમાવો ભંડારનાયક સાથ ફરી વખત ભારતના મહેમાન બન્યા હતા.
ASEAN દેશોનો ધ્વજ લહેરાયો
રાજપથના આકાશમાં ૩૮ વિમાનો ૮ મિનિટની ગર્વીલી ઉડાન દરમિયાન માત્ર ૩૦ સેકન્ડની વિંડોમાં ASEAN દેશોના ૧૦ અતિથિઓ સામેથી પસાર થયા ત્યારે લાખો લોકો તેના સાક્ષી બન્યા હતા. આ ફ્લાઈ પોસ્ટ માટે વાયુસેનાના ૨૧ લડાકુ વિમાન, ૧૨ હેલિકોપ્ટર્સ અને ૫ ટ્રાન્સપોર્ટ્સ વિમાને જોધપુર, બિકાનેરના નાલ સહિત ત્રણ એરબેઝથી ઉડાન ભરી હતી. પહેલી વાર ફ્લાઈ પોસ્ટ દરમિયાન તિરંગો અને ત્રણ સેનાઓના ધ્વજ સિવાય ASEAN દેશોનો ધ્વજ પણ હેલિકોપ્ટરથી લહેરાવાયો હતો.
મહિલા જવાનોના બાઈક સ્ટંટ
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)નાં મહિલા જવાનોએ પરેડ દરમિયાન બાઈક સ્ટંટ કર્યા હતા. મેજર જનરલ રાજપાલ પુનિયાએ જણાવ્યું છે કે, આવું પહેલીવાર થઈ રહ્યું છે કે બીએસએફના મહિલાક જવાનો પરેડમાં તેમનું પર્ફોમન્સ રજૂ કરશે.
પરેડમાં ‘મન કી બાત’
ઓલ ઈન્ડિયા રેડિયોનો ટેબ્લો પણ પ્રર્દશન પરેડનો એક ભાગ હતો. તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને પણ દર્શાવાયો હતો. આ ઉપરાંત પરેડમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો પણ ટેબ્લો હતો. તેમાં નોટબંધી, બ્લેકમની વિરુદ્ધ કરાયેલા કેમ્પેઈન વિશે માહિતી અપાઇ હતી. આ ઓપરેશન ક્લીન મની અંતર્ગત દર્શાવાયું હતું. ગયા વર્ષે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મુદ્દે પ્રદર્શન કરાયું હતું.
આભથી જમીનઃ લોખંડી સુરક્ષા
પ્રજાસત્તાક પર્વની પરેડ દરમિયાન ખૂબ કડક સુરક્ષા રાખવામાં આવી હતી. સમગ્ર પાટનગરમાં ૫૦ હજારથી વધારે દિલ્હી પોલીસ અને બીએસએફના જવાન તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય એનએસજી કમાન્ડો પણ વિવિધ જગ્યાએ ગોઠવાયા હતા. શહેરની ઉંચી ઈમારતો પર એન્ટી-એરક્રાફ્ટ ગન્સ સાથે પણ જવાનો દરેક જગ્યાએ નજર રાખી હતી.