નવી દિલ્હીઃ ઇંડિયન એર ફોર્સના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમના કોમર્શિયલ મિશનના ભાગરૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની સફરે રવાના થઈને ઈતિહાસ રચશે. શુક્લા રવિવાર - 8 જૂનના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરેથી સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટમાં ઉડાન ભરશે. આ સાથે જ ગ્રૂપ કેપ્ટન શુકલા આઇએસએસ પહોંચનારા પહેલા જ્યારે અંતરિક્ષ પ્રવાસે જનારા બીજા ભારતીય બનશે. ભારતના અંતરિક્ષયાત્રી રાકેશ શર્માએ 1984માં રશિયાના સોયુઝ સ્પેસક્રાફ્ટમાં અંતરિક્ષ યાત્રા કર્યાના ચાર દાયકા પછી શુકલા અંતરિક્ષ સફર કરનારા બીજા ભારતીય બનશે.
આઈએસએસ માટેના એક્સિઓમ-4 મિશન વિશિષ્ટ કાર્યક્રમમાં અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા), શન (નાસા), એક્ઝિઓમ સ્પેસ, યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) જોડાયેલી છે.
આઇએસએસમાં 14 દિવસ રોકાણસ, 7 સંશોધન
ગ્રૂપ કેપ્ટન શુકલા સહિત ચાર અવકાશયાત્રીઓ આઈએસએસમાં 14 દિવસ રહીને 7 સંશોધન કરશે. જેમાં અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણવિહીન અવસ્થામાં અવકાશયાત્રીઓને સ્નાયુઓમાં થતી સમસ્યા, કમ્પ્યુટરના સ્ક્રિનના ઉપયોગથી થતી શારીરિક-માનસિક સમસ્યા, ઈસરો-નાસાના સહયોગથી વિકસાવાયેલી આહાર સામગ્રી અને પોષણ સંબંધી પ્રયોગો કરશે. શુભાંશુ શુક્લા ખાસ કરીને મેથી અને મગ જેવી ભારતીય આહાર સામગ્રી સંબંધી પ્રયોગો કરશે. તેઓ માઇક્રોબાયોટિક સ્થિતિ સુધી પહોંચેલા બીજને ધરતી પર પરત પણ લાવશે. ધરતી પર તે બીજનું વાવેતર પણ થશે. ઉપરાંત, શુભાંશુ શુકલા આઈએસએસમાં રહીને ભારતીય યોગનું નિદર્શન પણ કરશે.
ઇસરો માટે અનુભવ બનશે ઉપયોગી
‘ઇસરો’નાં સૂત્રોએ કહ્યું હતું શુકલાનો સ્પેસ સ્ટેશનનો વિશિષ્ટ અનુભવ અમને ગગનયાનના અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન વગેરે પ્રોજક્ટમાં ઉપયોગી અને માર્ગદર્શક બનશે. મહત્વની બાબત એ છે કે મિશનમાં ભારતે 550 કરોડ રૂપિયાનું યોગદાન પણ આપ્યું છે. ખરેખર તો મિશન એક્સિઓમ-4 અવકાશયાત્રીને આઇએસએસમાં મોકલવાનો એક ખાનગી મિશન સાથે વેપારી હેતુસરનો પ્રયાસ છે. ભારતીય અવકાશયાત્રી આ મિશનમાં જોડાઈને જોડાઇને સ્પેસ સ્ટેશનમાં જાય તો તેને અંતરિક્ષમાં રહેવાના વિશિષ્ટ પ્રકારના અનુભવ થાય. સાથોસાથ સંશોધનની યાદગાર તક પણ મળે. આ બધો અનુભવ ભારતના ભાવિ ગગનયાન પ્રોજેક્ટમાં અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં ઉપયોગી બને તેવો હેતુ છે. એક્સિઓમ-4 મિશન સાથે શુકલા ઉપરાંત સ્પેસક્રાફ્ટના પાયલોટ તેમ જ અન્ય ક્રૂ મેમ્બર્સ પણ સફર કરશે. શુભાંશુ શુક્લા 40 વર્ષ પછી હાથ ધરાનારા સરકાર સ્પોન્સર્ડ હ્યુમન સ્પેસ ફ્લાઈટ મિશનનો ભાગ બની રહેશે.
મગની દાળ-ગાજરનો હલવો ખાશે, કેરીનો રસ પીશે
ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા અંતરિક્ષ પ્રવાસ દરમિયાન મગની દાળ, ગાજરનો હલવો ખાશે અને સાથે જ કેરીનો રસ પીશે. ઇસરોએ આ માટે નાસા પાસેથી વિશેષ અનુમતિ મેળવી છે. ઇન્ડિયન લેબ્સમાં તૈયાર હલવાનું રેડી ટૂ ઈટ પેકેટ અને કેરીના રસનું પાઉચ મોકલાયું છે. શુભાંશુને અંતરિક્ષ પ્રવાસ દરમિયાન જ્યારે પણ તેને ખાવાની ઈચ્છા થાય ત્યારે હીટરથી ગરમ કરી ખાઇ શકશે. ઇસરોના અધિકારીએ જણાવ્યું કે ત્રણે વ્યંજનો નાસાના સ્પેસ ફૂડ સ્ટાન્ડર્ડ અનુસાર તૈયાર કરાયા છે. જોકે અંતરિક્ષમાં આવા કોઇ વ્યંજનોના સહારે જીવિત રહી શકે નહીં, તેને માત્ર સ્વાદ વધારવા મોકલાઈ રહ્યા છે. બાકી સ્પેસ ફૂડ તો નાસા જ મોકલાશે. સ્પેસ સ્ટેશનમાં બધુ જ પેકેટમાં બંધ રેડી ટૂ ઈટ ભોજન ઉપલબ્ધ હોય છે.