સરદાર સર્વોચ્ચ

Wednesday 14th November 2018 05:26 EST
 
 

કેવડિયા કોલોનીઃ ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો. આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન આપીને ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠને ઉજાગર કરવાનું કામ થયું છે તે વાતનો આનંદ છે. સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૩મી જન્મજયંતીએ તેમની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
વડા પ્રધાને ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલ જન્મજયંતી - રાષ્ટ્રીય એકતા દિને કેવડિયા કોલોની નજીક, નર્મદા નદી તટે વિંધ્યાચળ અને સાતપુડાની ગિરીકંદરાઓના સાનિધ્યમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રસંગે વડા પ્રધાને ઇતિહાસના સુવર્ણપૃષ્ઠને ઉજાગર કરતાં કહ્યું હતું કે, ભારતે ભવિષ્યની પેઢીને એકતા-અખંડતાની પ્રેરણા મળતી રહે તે માટે ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા સરદારના પ્રણ, પ્રતિભા, પુરુષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતું પ્રગટીકરણ છે. રાષ્ટ્રીય એકતા પ્રતિ સમર્પણ અને ભારત ભક્તિની તાકાતથી મનમાં મિશન સાથે ગુજરાતે આ કામ ઐતિહાસિક સમયમાં પૂર્ણ કર્યું છે.

પ્રતિમાના લોકાર્પણને પોતાનું સૌભાગ્ય ગણાવતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જયારે મેં આ મહાન પ્રતિમાના નિર્માણની કલ્પના કરી હતી ત્યારે મને અહેસાસ નહોતો કે આ પ્રતિમાનું પ્રધાનમંત્રી તરીકે રાષ્ટ્રાર્પણ કરવાની મને તક મળશે.

જાતિ-વર્ગ ભૂલવા પડશે

વડા પ્રધાને કહ્યું હતું કે, સરદાર પટેલે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની વિરાસત આપણને સોંપી છે તેને પૂરી તાકાતથી સાચવવાની સાથે ભાવિ પેઢીમાં પણ સરદારના સંસ્કાર ઉતારવા પુરુષાર્થ કરવો પડશે. વડા પ્રધાને કહ્યું હતું કે, સરદાર કહેતા કે દરેક ભારતીયે ભૂલવું પડશે કે તે કઇ જાતિ કે વર્ગનો છે. તેણે માત્ર ભારતીય હોવાનું જ યાદ રાખવું પડશે.

રાજકીય ટીકા અયોગ્ય

સરદાર પટેલની પ્રતિમાને વિવાદોમાં ઢસડી જવાના થઇ રહેલા પ્રયાસોની આડકતરી ટીકા કરતાં મોદીએ કહ્યું કે, સરદાર પટેલના એકતા અને અખંડિતતાની વિરાસતને અમે જનસુખાકારી માટેની અનેકવિધ યોજનાઓ થકી આગળ વધારવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આની સાથોસાથ ભારતનિર્માણ સાથે સંકળાયેલા સરદાર પટેલ ઉપરાંતના નાયકોને સન્માનિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે અમારા આ પ્રયાસો, સપૂતોને રાષ્ટ્રીય સન્માન આપવાના પ્રયાસોને દેશના જ કેટલાક લોકો રાજકીય ચશ્માથી જોવાનું દુ:સાહસ કરી રહ્યા છે. ‘જાણે અમે કોઇ અપમાન કરી રહ્યા હોઇએ એવું કહેવાય છે. શું સપૂતોને રાષ્ટ્રીય સન્માન આપવું અપમાન છે?’
મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલે એવા સમયે ગૃહ પ્રધાન બનાવાયા હતા તે ક્ષણ ઇતિહાસમાં સૌથી મોટી હતી. તેમની ઉપર દેશની અર્થવ્યવસ્થાના પુનઃ નિર્માણની અને અસ્ત-વ્યસ્ત કાયદાની પરિસ્થિતિને યોગ્ય કરવાની જવાબદારી હતી. મહિલાઓને ભારતની આઝાદીમાં સક્રિય યોગદાનની ભૂમિકા અપાવવા માટે પણ સરદાર પટેલની કામગીરી મહત્ત્વની રહી હતી. જ્યારે મહિલાઓ ચૂંટણીઓમાં ભાગ લેતી નહોતી ત્યારે સરદાર પટેલની પહેલ પર આઝાદીના કેટલાય દસકા પૂર્વે આ ભેદભાવને દૂર કરવાનો રસ્તો ખૂલ્યો હતો.

રાજા-રજવાડાનું મ્યુઝિયમ

દેશ આઝાદ થયા બાદ અખંડ ભારતના નિર્માણમાં રાજા-રજવાડાનું પણ મહત્વનું યોગદાન હોવાથી તેમનું પણ મ્યુઝિયમ તૈયાર થવુ જોઇએ તેવો મત વડા પ્રધાને વ્યક્ત કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે દેશને આઝાદી મળી ત્યારે મા ભારતી ૫૫૦ જેટલા ટુકડાઓમાં વહેંચાયેલી હતી, દેશમાં ઘોર નિરાશા હતી તેમજ ભારત પોતાની વિવિધતામાં વિખરાઇ જશે તેવી સ્થિતિ હતી પરંતુ બધાને એક જ કિરણ દેખાતું હતું અને તે કિરણ સરદાર હતાં. સરદારમાં કૌટિલ્યની નીતિ, શિવાજીના શૌર્યનો સમાવેશ હતો. દેશને એક તાંતણે બાંધવામાં યોગદાન આપનાર રાજાઓના ત્યાગને પણ ભુલવો ના જોઇએ.

ગુજરાતના આશીર્વાદ

આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતા વતી આપેલા અભિનંદન પત્રને-સન્માનપત્રને આશીર્વાદ તરીકે સ્વીકારતા તેમણે કહ્યું કે, મા પોતાના બાળકની પીઠ પર હાથ રાખે તો બાળકની તાકાત, ઉત્સાહ અને ઊર્જા હજારગણા વધી જતાં હોય છે. આજે, ગુજરાતની જનતાએ આપેલા સન્માનપત્રમાં હું એ આશીર્વાદની અનુભૂતિ કરી રહ્યો છું.
આ પ્રસંગે ગવર્નર ઓ. પી. કોહલી, કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળા, મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબહેન પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને ગુજરાતના પ્રધાનમંડળ સભ્યો સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter