હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગરઃ મોદી

Friday 03rd July 2026 05:43 EDT
 
 

વિકટોરિયાઃ સેશલ્સનાં ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશલ્સની સંસદને સંબોધતા કહ્યું હતું કે હિન્દ મહાસાગર આપણા બધા માટે અવસરોનો મહાસાગર બનશે. ભારત હિન્દ મહાસાગરને અવસરોનો મહાસાગર બનાવવા માગે છે. આ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને આર્થિક પ્રગતિ બંનેની જરૂર છે. ભારતની ભાગીદારી દેશનાં કદ કે આકાર પર નહીં પરંતુ પરસ્પર સન્માન અને ભરોસા પર ટકે છે. વડાપ્રધાન મોદીએ મિત્રદેશ સેશલ્સને 1652.66 કરોડની સહાય ભેટ અપાઇ હતી, જેમાં ફાસ્ટ પેટ્રોલિંગ બોટ, વાહન અને લેસર રેડિયલ ક્લાસ બોટસ, 6 એમ્બ્યુલન્સ, 500 મેટ્રિક ટન ચોખા, 8500 મેટ્રિક ટન સિમેન્ટ વગેરેનો સમાવેશ થતો હતો.
આ પ્રવાસ દરમિયાન રવિવારે મોદીને સેશલ્સનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગાર્ડિયન ઓફ બ્લૂ હોરાઈઝન’થી સન્માનિત કરાયા હતા. આમ અત્યાર સુધીમાં મોદીને 34 દેશ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે. મોદીને પર્યાવરણ સંરક્ષણ તેમજ સતત વિકાસ માટે સેશલ્સ દ્વારા આ સન્માન અપાયું હતું. મોદીએ તેમને અપાયેલા એવોર્ડ માટે સેશલ્સની જનતા, સરકાર તેમજ રાષ્ટ્રપતિ હાર્મિનીનો આભાર માન્યો હતો.
સેશલ્સની સંસદને સંબોધતા મોદીએ કહ્યું કે સેશલ્સ સાથે ભારતનાં સંબંધો 50 વર્ષ જૂના છે. લોકો જ્યારે દુનિયાનો નકશો જોતા હતા ત્યારે તેમને સેશલ્સ હિન્દ મહાસાગરમાં નાના નાના કેટલાક ટાપુનાં સમૂહ તરીકે જોવા મળતું હતું. અમારા માટે તે ટાપુઓનો સમૂહ નહીં પણ તેનાંથી વિશેષ છે. અમારું માનવું છે કે હિન્દ મહાસાગર એ આપણું એક સામૂહિક ઘર છે જેની સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ એ આપણી સંયુક્ત જવાબદારી છે. એ જ ભારતનાં મહાસાગર વિઝનનો આધાર છે. ભારત અને સેશલ્સની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે.
યજમાન રાષ્ટ્રપતિ પેટ્રિક હાર્મની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ કહ્યું કે હું ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝન એવોર્ડ એવા દેશોને સમર્પિત કરું છું જે જળવાયુ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. ભારત દ્વારા સેશલ્સને 175 મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 1652.66 કરોડની સહાય આપવામાં આવી હતી. સેશલ્સમાં ભારતનું યુપીઆઇ ચલાવવા તેમજ કનેક્ટિવિટી પર ભાર મુકાયો હતો. મોદીએ બંને દેશો વચ્ચેની 50 વર્ષની ભાગીદારીને ભરોસો અને વિશ્વાસથી જન કલ્યાણ સુધીની સફર ગણાવી હતી. મોદીનું સેશલ્સની સંસદને સંબોધન એ તેમનું વિદેશમાં 20મી સંસદને સંબોધન હતું. મોદીએ કહ્યું હતું કે અમે સેશલ્સની સાથે મિત્રની જેમ અડીખમ ઊભા છીએ.
આપણો સંબંધ વિશ્વાસનો છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારી સાથે અમારો સંબંધ વિશ્વાસનો છે. આ રાષ્ટ્રીય સભાને સંબોધન કરનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન તરીકે તમારી સમક્ષ હાજર રહેવું મારા માટે એક ખાસ સન્માનની વાત છે. હું અહીં આવ્યો કારણ કે મારું માનવું છે કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સનું વિશેષ સ્થાન છે.
વડાપ્રધાન મોદીએ તેમની ત્રણ દિવસીય સેશેલ્સ મુલાકાતના છેલ્લા દિવસે ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી, જેનાથી બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો મજબૂત થયા. રાજધાની વિક્ટોરિયામાં, મોદીએ ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરી, તેમની સાથે ફોટોગ્રાફસ પડાવ્યા અને ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી. તેમણે અરુલ મિહુ નવશક્તિ વિનાયક મંદિરમાં ભગવાન ગણેશની મુલાકાત લઇને પૂજા કરી હતી. તેમજ વિક્ટોરિયાના પીસ પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter