સુપ્રસિદ્ધ ભજન ‘રામ આયેંગે...’ની પંક્તિઓ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જીવંત સ્વરૂપમાં જોવા મળી હતી. શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં સ્થિત રઘુનાથ મંદિરના કપાટ 36 વર્ષ બાદ રામનવમીના પાવન અવસરે ખુલ્લા મુકાયા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધી ગયા હતા. આ દરમિયાન કાશ્મીરી પંડિતોએ પલાયન કરવું પડયું હતું. આ ઘટનાક્રમ વચ્ચે રઘુનાથ મંદિરને બંધ કરવામાં આવ્યું હતું. આ મંદિરના કપાટ ફરી ખુલતા કાશ્મીરી પંડિતોની સાથે સાથે આ વિસ્તારના મુસ્લિમો પણ ખુશ જોવા મળ્યા હતા. કહેવામાં આવે છે કે, કાશ્મીરમાં સૌથી મોટી રામનવમી આ મંદિરમાં મનાવવામાં આવતી હતી. આ મંદિરનું નિર્માણ 1857માં મહારાજા ગુલાબ સિંહે કરાવ્યું હતું.


