IIT વિદ્યાર્થીઓ માટે ઈન્ડો- કેન્યન સ્કોલરશિપ

Tuesday 10th November 2020 14:56 EST
 
 

IIT મુંબઈમાં સફળ અને લાભથી વંચિત રહી ગયેલા અરજદારો માટે સ્વ. શાંતિલાલ મોહનલાલ શાહના વારસદારો દ્વારા ૨૦૨૦માં કાયમી સ્કોલરશિપ શરૂ કરાઈ છે. વધુમાં, તેવી જ દસ વર્ષની સ્કોલરશિપ IIT દિલ્હી ખાતે પણ શરૂ કરાઈ છે.

સ્વ. એસ. એમ. શાહ ૧૮ વર્ષના હતા ત્યારે ૧૯૨૩માં તેમણે ભારતથી કેન્યા સ્થળાંતર કર્યું હતું. તેમની માતા ખૂબ નાની વયે ગુજરી જતા પોરબંદર (ગુજરાત)માં હેડ માસ્તર તરીકે ફરજ બજાવતા પિતાને માથે છ સંતાનોના ઉછેરની જવાબદારી આવી પડી હતી. હિતચિંતકોએ આપેલા પ્રોત્સાહનને પગલે તેમના પિતાએ પરિવારના ભરણપોષણમાં મદદરૂપ થઈ શકે તે માટે સૌથી મોટા પુત્ર તરીકે તેમને આફ્રિકા મોકલ્યા હતા. તેથી તેઓ તેમનું મેટ્રિક્યુલેશન પૂરું કરી શક્યા ન હતા. કેન્યા પહોંચીને તેઓ થોમ્પસન્સ ફોલમાં સ્થાયી થયા હતા. કોઈપણ શૈક્ષણિક લાયકાત ન હોવાથી તેમને જોબ મળી શકે તેમ ન હતું. તેમને પોતાની જાતે જ કંઈક કરવું પડે તેમ હતું. ભારે મુશ્કેલીઓ વચ્ચે તેમણે વિવિધ બિઝનેસ હાથ ધર્યા અને તેમાં તેઓ ખૂબ સફળ થયા. તેઓ ભાવનગરમાં નિવૃત્ત થયાં અને સમાજના અતિ ગરીબ લોકોના કલ્યાણના પ્રયાસોમાં જીવનના છેલ્લાં ૨૦ વર્ષ વીતાવ્યા હતા. ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ એ તેમનો સિદ્ધાંત હતો. તેમણે શક્ય તેટલાં વધુ લોકોના લાભાર્થે તેમની સંપત્તિનો ઉપયોગ કર્યો હતો.

IIT મુંબઈ અને IIT દિલ્હી વિશ્વની સૌથી અગ્રણી સંસ્થાઓ પૈકીની છે. સ્વ. એસ.એમ. શાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આશા છે કે આ સ્કોલરશિપને લીધે વંચિત પશ્ચાદભૂમિમાંથી આવતા તેજસ્વી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ, કૌશલ્ય મળશે અને ભવિષ્યામાં તેઓ અન્ય યોગ્ય વિદ્યાર્થીઓને મદદ કરશે.

IIT મુંબઈના ડીન એલુમ્ની એન્ડ કોર્પોરેટ રિલેશન્સ પ્રો. સુહાસ જોશીએ જણાવ્યું કે એસ.એમ.શાહ ટ્રસ્ટના આ વિચારપૂર્વકના યોગદાનની તેઓ ખૂબ પ્રસંશા કરે છે. આ સ્કોલરશિપ શરૂ થવાથી જરૂરતમંદ અને લાયક વિદ્યાર્થીને અભ્યાસમાં ચોક્કસપણે મદદ મળશે. આ પ્રકારની સ્કોલરશિપથી ઘણાંને પ્રેરણા મળશે. તેમણે ઉમેર્યું કે તેઓ દ્રઢપણે માને છે કે એસ.એમ.શાહ ટ્રસ્ટ અને IIT મુંબઈ વચ્ચે આ લાંબાગાળાના સંબંધોની શરૂઆત છે. IIT દિલ્હીના ડીન એલુમ્ની અફેર્સ પ્રો. નવીન ગર્ગે જણાવ્યું હતું કે આ સ્કોલરશિપ શરૂ કરવા માટે એસ.એમ.શાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ IIT દિલ્હીની પસંદગી કરી તે માટે તેઓ તેમનો આભાર માને છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સ્કોલરશિપનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓ માનવજાતની સેવા કરવાના સ્વ. શાહના વારસાને આગળ ધપાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter