અયોધ્યા: સુપ્રસિદ્ધ રામ મંદિરમાં ગયા વર્ષે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને ભગવાન શ્રી રામને બાળ સ્વરૂપમાં બિરાજમાન કરાયા હતા અને હવે આ જ મંદિરમાં ભગવાન શ્રી રામને રાજા સ્વરૂપે પ્રાણ પ્રતિષ્ઠિત કરાશે. મંદિરનાં પહેલા માળ પર રામ દરબાર બિરાજશે. આ દરબારમાં ભગવાન રામ તેમનાં ભાઈઓ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને માતા જાનકી તેમજ સેવક હનુમાન સાથે બિરાજમાન થશે. ગુરુવાર - પાંચમી જૂને યોજાનારા બીજા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તૈયારીને અંતિમ ઓપ અપાઇ ગયો છે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે. આ સાથે મંદિરનિર્માણની કામગીરીનું સમાપન પણ થશે. પાંચમી જૂને ગંગા દશહરાનો ઉત્સવ પણ મનાવાશે. અયોધ્યાનાં પંડિતો આચાર્ય પ્રદીપ શર્મા, આચાર્ય રાકેશ તિવારી અને આચાર્ય રઘુનાથ શાસ્ત્રીએ પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત કાઢયું છે. મુખ્ય યજમાન પદે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં સભ્ય ડો. અનિલ મિશ્રા અને તેમનાં પત્ની રહેશે.
શ્રી રામ જન્મભૂમિ નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં પ્રતિષ્ઠિત રામ મંદિરમાં રામ દરબારનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ભવ્ય હોવાની અપેક્ષા છે, પરંતુ આ વખતે મહેમાનોની યાદી અલગ હોઈ શકે છે.
ગયા વર્ષે 22 જાન્યુઆરી 2024ના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભવ્ય સમારોહમાં રામ લલ્લાનો અભિષેક કરાયો હતો.
મિશ્રાએ કહ્યું કે, સંકુલમાં સાત અન્ય મંદિરો પણ બનાવાયા છે અને તે મંદિરો માટે ધાર્મિક વિધિઓ પણ આ જ દિવસે કરાશે. તેમણે કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હંમેશા ભવ્ય હોય છે કારણ કે તમે સ્પષ્ટપણે ભગવાનનું આહ્વાન કરો છો, પણ કદાચ મહેમાનોની યાદી અલગ હશે. ટ્રસ્ટે એ પણ નિર્ણય લીધો છે કે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈપણ વીઆઇપીને આ કાર્યક્રમમાં આમંત્રિત કરાશે નહીં.
મિશ્રાએ મંદિરના નિર્માણ પાછળ કોઈ રાજકીય હેતુ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, મને નથી લાગતું કે આ કોઈ રાજકીય નાટક છે કે તેની પાછળ કોઈ રાજકીય હેતુ છે. આ આપણી સુપ્રીમ કોર્ટના આદેશ પર થયું છે અને આ ક્ષણ 500 વર્ષથી વધુના સંઘર્ષ પછી આવી છે.
રામ મંદિરનાં પહેલા માળે રામ દરબાર
રામ મંદિરના પહેલા માળ પર રામ દરબાર સ્થપાશે અને ઉપમંદિરોમાં સાત દેવ વિગ્રહોની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. જેમાં પરકોટના ઈશાન ખુણામાં શિવલિંગ, અગ્નિ ખૂણામાં શ્રીગણેશ, દક્ષિણી ભુજાની મધ્યમાં મહાબલી હનુમાન, નૈઋત્ય ખુણામાં પ્રત્યક્ષ દેવ સૂર્ય, વાયવ્ય ખૂણામાં માતા ભગવતી, ઉત્તર તરફ મધ્યમાં માતા અન્નપુર્ણાનાં વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. મંદિરના પ્રથમ માળ પર રામ દરબાર અને પરકોટા દક્ષિણનાં પશ્ચિમ ખૂણામાં શેષાવતારની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. પાંચમી જૂને સવારે 6.30 વાગ્યે અનુષ્ઠાનનો પ્રારંભ થશે અને સવારે 11.25થી 11.40 સુધીના અભિજિત મુહૂર્તમાં રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે.