જામનગર: નાલંદા વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલી 957મી રામકથા ‘માનસ નાલંદા’ના પાંચમા દિવસ 28 મેના રોજ પૂ. મોરારિબાપુએ ગુજરાતની દીકરી અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (પૂર્વ અટક પંડ્યા)ના પત્રનું વ્યાસપીઠ પરથી વાંચન કર્યું. આ પત્ર જયંતિભાઈ બ્રહ્મભટ્ટે ગુજરાતીમાં ભાષાંતર કરીને પૂ. બાપુને મોકલ્યો હતો. જેમાં સુનિતાએ અવકાશમાં નવ મહિનાની યાત્રા દરમિયાનના અનુભવો અને સનાતન ધર્મની અસર વિશે લખ્યું છે.
સુનિતા વિલિયમ્સે પત્રમાં જણાવ્યું હતું કે એક અઠવાડિયાના મિશન માટે ગયેલી અને તેમને અવકાશમાં નવ મહિના રહેવું પડ્યું. ખોરાક અને પાણી ખૂટવાની સ્થિતિમાં તેમણે સનાતન ધર્મની ચૈત્રી નવરાત્રિના ઉપવાસનો સંકલ્પ લીધો, જેનાથી તેમને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો અનુભવ થયો. તેમણે રામાયણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અંગ્રેજી ભાષાંતર ડાઉનલોડ કરીને વાંચન શરૂ કર્યું, જેમાંથી તેમને ગર્ભવિજ્ઞાન, સમુદ્ર અને અવકાશના રહસ્યોનું અદભૂત જ્ઞાન મળ્યું.
અવકાશમાં સૂર્ય કાદવના ખાડામાં બેઠેલો હોય તેવું દેખાતું હતું અને સંસ્કૃત – હિન્દીમાં મંત્રોચ્ચારનો અવાજ સંભાળાતો હતો. જેની પુષ્ટિ તેમના સાથી અવકાશયાત્રીઓએ પણ કરી છે. ઉલ્કાઓથી યાનને બચાવવા ભગવાનને પ્રાર્થના કરતાં તેમણે તેજસ્વી પ્રકાશ જોયો, જે ઉલ્કાઓનો નાશ કરતો હતો. આઠ મહિનામાં રામાયણ અને ગીતાનું સંપૂર્ણ વાંચન કર્યા બાદ તેમને પૃથ્વી પર પાછા ફરવાનો આત્મવિશ્વાસ જાગ્યો. એપ્રિલમાં સૂર્યાસ્ત વખતે તેમણે સિંહ પર સવાર ત્રિશૂળધારી દેવીનું દર્શન કર્યું, જેને તેમણે દૈવી સંકેત ગણાવ્યો.
સુનિતાએ જણાવ્યું કે સનાતન ધર્મ, રામાયણ અને ભગવદ ગીતામાં અપાર શક્તિ છે. તેમણે નાસામાં વેદો, ગીતા, રામાયણ, શિવપુરાણ અને ઉપનિષદોના આધારે ગર્ભશાસ્ત્ર, અવકાશશાસ્ત્ર અને સમુદ્રના ઊંડાણના સંશોધનનો પ્રસ્તાવ મૂક્યો છે. પૂ. મોરારિબાપુએ આ પત્ર વાંચી આનંદ વ્યક્ત કર્યો અને ગુજરાતીઓ માટે ગૌરવની વાત ગણાવી હતી.
સુનિતા વિલિયમ્સે જણાવ્યું છે કે હવે મારું સંશોધન વેદ અને વિજ્ઞાન પર ચાલુ થશે. મેં નાસામાં એક પ્રસ્તાવ પણ મૂક્યો છે. પરંતુ શું પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ વિભાગ શરૂ કરવા ફંડ આપશે? એક અહેવાલ મુજબ પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ સંશોધન માટે અંગત રકમમાંથી ફંડ આપવાની તૈયારી દર્શાવી છે.