શનિવાર તા.૨૦ જુન ૨૦૨૦ના રોજ ટેકનોલોજીના માધ્યમથી જૈન શ્વેતામ્બર તેરાપંથી સંપ્રદાયે તેરાપંથના આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજીની જન્મ શતાબ્દિની ઉજવણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભાગ લઇ આચાર્યશ્રીને ભવ્ય અંજલિ અર્પી. એમનું હ્દયસ્પર્શી, પ્રેરક વક્તવ્ય અત્રે પ્રસ્તુત : “ સુરેશચંદ્ર ગોયેલજી, આપણા સૌનું એ સૌભાગ્ય છે કે, સંત પ્રવર આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજીની જન્મ શતાબ્દિના પુણ્ય અવસર પર આપણે સૌ ટેકનોલોજીના માધ્યમથી એક સાથે જોડાયાં છે.
એમના આશીર્વાદ અને કૃપાનો આપણે સૌ અનુભવ કરી રહ્યા છીએ. સંત પ્રવર આચાર્યશ્રીને નમન કરવા, શ્રધ્ધાંજલિ અર્પવા હું ઉપસ્થિત થયો છું. આપ સૌને આ પ્રસંગે મારી શુભ કામનાઓ.
આચાર્યશ્રી સમણજીને પણ વિશેષ નમન અને ધન્યવાદ. કોરોનામાં ટેકનોલોજીના માધ્યમથી પ્રભાવિત ઢંગથી કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન. અત્રે અંજલિ આપવા એકત્રિત કેટલાય ભાવિકોએ આચાર્યશ્રીના સત્સંગ અને સાક્ષાત્કારનો અને એમની આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ જરૂર કર્યો હશે. હું પણ એમાંનો એક છું. મારા જીવનમાં એ અવસર મને મળ્યો છે અને આચાર્યશ્રીના આશીર્વાદ મને નિરંતર મળતા રહ્યા છે.
હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું. હું ગુજરાતનો ચીફ મિનિસ્ટર હતો એ કાલખંડમાં આચાર્યશ્રી ગુજરાત આવ્યા ત્યારે એમની અહિંસા યાત્રા અને માનવતાની સેવાના અભિયાનમાં હું જોડાયો હતો. આચાર્યશ્રીના સ્નેહથી તેરાપંથ મેરા પંથ બની ગયા. હું પણ આચાર્યશ્રીનો બની ગયો. એમના જેવા યુગ ઋષિના જીવનમાં પોતાના માટે કશું હોતું નથી. એમનું જીવન, વિચાર, ચિંતન બધું જ સમાજ માટે અને માનવતા માટે છે.
આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી કહેતા કે, “મૈં ઓર મેરા છોડો તો સબ તુમ્હારા હી હોગા". એમનો એ મંત્ર, દર્શન એમના જીવનમાં એ સ્પષ્ટ દેખાતું પણ હતું. એમના જીવનમાં પોતાનું કશું નહિ પરંતુ બધા જ એમના પોતાના હતા. એમના જીવનમાં કોઇપણ વસ્તુ માટે પરિગ્રહ ન હતો પણ પ્રેમ દરેક વ્યક્તિ, જીવમાત્ર પ્રત્યે હતો.
સાથીઓ, દુનિયામાં જીવન જીવવાનું દર્શન તો આજે ગુગલ ગુરૂ પાસેથી ય મળી જાય પરંતુ આ પ્રકારનું જીવન જીવનારા આસાનીથી નથી મળતાં. જીવનને એ સ્થિતિ સુધી લઇ જવા માટે પોતાને તપાવું પડે છે. સમાજ અને સમાજસેવા માટે એક એક પળ જલન સહેવી પડે છે. આ કોઇ સાધારણ વાત નથી. અસાધારણ વ્યક્તિત્વ જ એ ચરિતાર્થ કરી શકે છે.
રાષ્ટ્રીય કવિ રામધારીસિંહ દિનકરજી કહેતા, “ આચાર્યશ્રી આધુનિક યુગના વિવેકાનંદ છે". દિગંમ્બર પરંપરાના મહાન સંત આચાર્ય વિધ્યાનંદજી જ્યારે આચાર્ય શ્રી પ્રજ્ઞાનંદજીની તુલના કરતા ત્યારે કહેતા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજી એમની યાદ અપાવે છે. એ એમના પ્રમાણે વિચારતા હતા.
આચાર્યશ્રીએ જે સાહિત્ય રચના કરી છે અને જ્ઞાન પીરસ્યું છે એ અદ્ભૂત છે. અમારા શ્રધ્ધેય શ્રી અટલ બિહારીજી સાહિત્ય અને જ્ઞાનના પારખું હતા, તેઓ વારંવાર કહેતા કે, આચાર્યશ્રીનું સાહિત્ય અને સાહિત્યની ગહરાઇ ખૂબ છે. તેઓ જ્ઞાન અને શબ્દોના બહુ મોટા પ્રેમી હતા. એમની વાણીમાં સૌમ્યતા, મંત્રમુગ્ધ કરે એવો બુલંદ અવાજ, શબ્દોના ચયનનું સંતુલન, એ ત્રિવેણી ઇશ્વરીય કૃપા વિના સંભવ નથી. એમને એ ત્રણેય વરદાન પ્રાપ્ત હતા. આપ પણ એમનું સાહિત્ય વાંચશો તો અનુભવ થશે કે, કેટલાય મહાપુરૂષોની છબિ એમની ભીતર હતી. જેટલી ગહરાઇ આધ્યાત્મ પર હતી એટલી જ વ્યાપકતા ફિલોસોફી, સાયકોલોજી, પોલીટીક્સ, ઇકોનોમીક્સ આદી વિષયોમાં ય હતી. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, ઇંગ્લીશ વગેરે ભાષાઓમાં એમણે ૩૦૦ જેટલા પુસ્તકો લખ્યા છે.
એમનું “The Family and the Nation “ પુસ્તક વારંવાર વાંચવા જેવું છે. ડો. અબ્દુલ કલામ સાથે મળીને એક સુખી પરિવાર, એક સમૃધ્ધ રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે કરી શકે એનું વીઝન આ બન્ને મહાપુરૂષોએ આ પુસ્તકમાં લખ્યું છે. હું ડો. એ.પી.જે. કલામ સાથે આચાર્યશ્રીને મળવા ગયો ત્યારે આ બન્ને મહાનુભાવોના દર્શન મને એક સાથે થયા અને પ્રત્યક્ષ અનુભવ થયો.
આપણે ત્યાં એક ઋષિ કેવી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવી શકે અને એક વૈજ્ઞાનિક કેવી રીતે ઋષિ પ્રેમી હોઇ શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
એમના જીવનનો ઉદ્દેશ્ય હતો, સતત પરિભ્રમણ કરો, જ્ઞાન અર્જિત કરો અને જીવનમાં જે કાઁઇ છે તે સમાજને આપી દો. પોતાના જીવનમાં એમણે હજારો કિલો મીટરની યાત્રા અને પદયાત્રા કરી છે. જીવનના અંતિમ ભાગમાં ય તેમણે અહિંસા યાત્રા કરી હતી. તેઓશ્રી કહેતા, “આત્મા મેરા ઇશ્વર હૈ, ત્યાગ મેરી પ્રાર્થના હૈ, મૈત્રી મેરી ભક્તિ હૈ, સંયમ મેરી શક્તિ હૈ, અહિંસા મેરા ધર્મ હૈ" અને પોતે એવું જ જીવ્યા. લાખો, કરોડો લોકોને એમણે ડીપ્રશન ફ્રી લાઇફની કલા શીખવી.
એક દિવસ પછી આંતર રાષ્ટ્રીય યોગ દિન છે. “સુખી પરિવાર, સમૃધ્ધ રાષ્ટ્ર" સાકાર કરવામાં સાથે મળીને એમનો સંદેશ સમાજમાં ઘરે-ઘરે પહોંચાડીએ અને બીજો એક મંત્ર " સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ સમાજ, સ્વસ્થ અર્થવ્યવસ્થા"નો એમનો મંત્ર આજની પરિસ્થિતિમાં આપણા સૌ માટે પ્રરણાદાયી છે.
મને વિશ્વાસ છે કે, સમાજમાં રાષ્ટ્રનો આદર્શ અમારા સંતોએ અમારી સમક્ષ મૂક્યો છે એ સંકલ્પ અમારો દેશ જલ્દી સાકાર કરવા આપણે સૌ કટિબધ્ધ બનીએ. આચાર્યશ્રીનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડતા રહો એવી શુભ કામના સાથે આચાર્યશ્રીના ચરણોમાં વંદન-"મહાપ્રજ્ઞોસ્તુ મંગલમ્". ધન્યવાદ.
(વડાપ્રધાન મોદીજીના વક્તવ્યની વીડીયો આધારિત પ્રવચન સંકલન: જ્યોત્સના શાહ)