એક સત્ય, એક ધર્મ, અનેક માર્ગઃ સનાતન મૂલ્યોને સમજાવતો લેખ

મારી કલમે

મનોજ પટેલ Wednesday 29th July 2026 09:52 EDT
 
 

 આવો શક્તિશાળી આર્ટિકલ લખવા બદલ સી.બી. પટેલને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રકૃતિના નિયમ અને કર્મના સિદ્ધાંત પર આધારિત સનાતન ધર્મના હાર્દરૂપ મૂલ્યોને વ્યવહારમાં મૂકતા મારા જીવનના અંગત અનુભવોમાં વાચકોને સહભાગી બનાવવામાં હું કૃતજ્ઞ બની રહીશ. આ ધર્મ નથી, પરંતુ શાશ્વત જીવનમાર્ગ છે. જો આપણે સમજી લઈએ કે ‘વસુધૈવ કુટુમ્બકમ્’ અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર છે, તો કોઈ પ્રકારનું વિભાજન રહેશે નહિ, એકતા સધાશે અને વિશ્વમાં શાંતિ અને સુમેળ-સંવાદિતા સ્થાપિત થશે.

હું જ્યારે 25 વર્ષનો હતો ત્યારે આધ્યાત્મિક ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. તે સમયે હું જાણતો ન હતો કે મારા જીવનમાં શું ભવિષ્ય લખાયું છે. હું મારી ઓળખ, સનાતન ધર્મ, શાશ્વત હિન્દુ ધર્મશાસ્ત્રો, જીવનનું ધ્યેય અને હિન્દુ સંસ્કૃતિથી અજાણ હતો. તે સમયે મારું સ્વપ્ન પ્રામાણિકતા સાથે અઢળક નાણા કમાવાનું, મિલિયોનેર બનવાનું અને 35 વર્ષની વયે નિવૃત્ત થવાનું હતું. આ સ્વપ્ન સાકાર ન થયું કારણકે મને સમજાઈ ગયું કે જીવનની વાસ્તવિકતા સરળ નથી, પરંતુ પડકારોના સંઘર્ષ અને યાતનાઓને સમુદ્ર છે. મને એવો પણ અનુભવ થયો કે સનાતન ધર્મની છત્રી હેઠળની વિવિધ સંપ્રદાયોની પરંપરાઓએ મારા પરિવારને વિભાજિત કરી દીધો છે.

આજે 82 વર્ષની વયે, ચિંતન અને મનોમંથન થકી, જીવનના અનુભવો સાથે હું લખી શકું છું કે ગુરુઓના દિવ્ય આશીર્વાદ હું આજે જેવો છું તેવા મારા માટે શું હતા.હું વિશ્વાસ સાથે કહું છું કે તેઓના આશીર્વાદ અને મારા જીવનમાં સ્થાપિત સનાતન ધર્મના મૂલ્યો મારી હિંમત, મક્કમતા, તાકાત અને દૃષ્ટિની સ્પષ્ટતાનો સ્રોત બની રહ્યા છે જેના થકી મારું જીવન ઘડાયું છે અને મારા વર્તમાન અને ભૂતકાળના કર્મોને સુધાર્યા છે. તેઓના આશીર્વાદ અને મારી જિજ્ઞાસા થકી જ મને ભવિષ્યમાં ઉમદા ઉદ્દેશ્ય માટે ઉપનિષદો, શિક્ષાપત્રી, વચનામૃત અને ભગવદ્ ગીતાના અભ્યાસનું માર્ગદર્શન મળ્યું હોઈ શકે. જીવનમાં પડકારોનો સામનો કરવાનો સમય આવે છે ત્યારે આપણા ધર્મશાસ્ત્રોએ મને જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા ધીરજ, હિંમત, શક્તિ, મક્કમતા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. મારી જિજ્ઞાસા હંમેશાંથી જીવનના રહસ્યો વિશે શીખવાની રહી છે.

સનાતન ધર્મ દ્વારા મને જાણવા મળ્યું છે કે દરેક બાબત ઈશ્વરની કૃપાથી કોઈ કારણસર જ બને છે. મને સમજાયું છે કે ઈશ્વરમાં શ્રદ્ધા અને તમારી જાત પ્રત્યે પ્રામાણિક રહેવાથી અને કોઈ અપેક્ષાઓ વિના ઈશ્વરના પ્રેમ માટે જ યોગ્ય કામ કરવાથી મારું જીવન સમૃદ્ધ બન્યું છે. તમને કોઈ અફસોસ રહેશે નહિ.

મને જરૂરિયાતમંદની મદદ કરવાનું ડહાપણ જણાયું છે અને વ્યવહારમાં પણ મૂક્યું છે. ‘તમે જ્યારે કોઈને મદદ કરવાની સ્થિતિમાં હોવાનું અનુભવો ત્યારે આનંદિત થાવ અને સૌભાગ્યવંતા હોવાની લાગણી અનુભવો કારણકે ઈશ્વર તમારા મારફત પેલી વ્યક્તિની પ્રાર્થનાનો ઉત્તર વાળી રહ્યો છે. મને યાદ છે કે પૃથ્વી પર મારો ઉદ્દેશ અંધકારમાં ખોવાઈ જવાનો નહિ, પરંતુ અન્યો માટે પ્રકાશ બની રહેવાનો છે. અન્યોની ખુશીમાં જ આપણી ખુશી રહેલી છે.’

સનાતન ધર્મ થકી હું સમજી શક્યો કે આપણે વિશ્વમાં આનંદ મેળવી શકે તેવી વસ્તુ માટે ભટકતા હોઈએ છીએ તે તો આપણી અંદરક જ રહેલી છે. પરંતુ આપણે તો દુઃખ ઉપજાવનારી ખોટી વસ્તુઓ પાછળ દોડતા રહીએ છીએ. આપણામાંથી મોટા ભાગના માયાની મનોહજાળમાં ફસાયેલા રહીએ છીએ. મોભો-સ્ટેટસ, સત્તા, અહંકાર, ક્રોધ, ઈર્ષા, વાસના, લાલચ મનનાં શત્રુઓ છે જે દુઃખ લાવે છે, જ્યારે પ્રેમ, કૃતજ્ઞતા, દયા, સહાનુભૂતિ, અનુકંપા મનના મિત્રો છે જે ખુશી લાવે છે. આપણા જીવનમાં કેટલાક પ્રકારના પરિણામો સાથે શું પસંદ કરવું તે તમારી જ પસંદગી છે. તમે જેવું વાવશો, તેવું જ લણશો.

જેઓ સત્યની સાથે જીવન જીવે છે, જેમના કાર્યના ઈરાદાઓ પવિત્ર છે, જેનાથી સમાજ અને તમને લાભ થાય છે, તેમને ઈશ્વર પ્રિય હોય છે.

હું સમજી શક્યો છું કે આધ્યાત્મિક જ્ઞાન પૂરતું નથી સિવાય કે તમે જીવનમાં આનંદ, શાંતિ અને સંવાદિતાના સર્જન માટે તેના મૂલ્યોને જીવનમાં અપનાવો. તમારું વર્તન સૌથી મહત્ત્વપૂર્ણ છે જેનાથી અન્યોને આનંદનો લાભ મળે છે અને આપણામાં એકતા લાવે છે. તમારા નૈતિક મૂલ્યો સાથે સુસંગત તમારો અભિગમ અને વર્તન જ તમે શું છો તેની સાચી ઓળખની વ્યાખ્યા કરે છે- જે તમે નથી તેનું મહોરું ચડાવશો નહિ. આ જ સત્ય છે.

લોકો મને એટલા માટે યાદ નહિ રાખે કે મેં શું હાંસલ કર્યું છે, તેઓ એ યાદ કરશે કે મેં તેમને કેવી રીતે મદદ કરી હતી અને તેમને પ્રેમ, કાળજી અને દયાની લાગણીઓનો અનુભવ કરાવ્યો હતો જેના થકી તેમના જીવનમાં આનંદ લાવવાનો તફાવત સર્જ્યો હતો. હું જ્યારે મરણપથારીએ હોઈશ ત્યારે મને કોઈ અફસોસ રહેશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter