કોબા તીર્થમાં પ્રભુ મહાવીરના લલાટે ઝળહળ્યું સૂર્યતિલક

Tuesday 27th May 2025 10:21 EDT
 
 

ગાંધીનગરઃ કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં બિરાજમાન મહાવીર પ્રભુના ભાલ પર ગુરુવારે બપોરે 2.07 કલાકે સૂર્યતિલકનું અલૌકિક દૃશ્ય સર્જાયું હતું. કોબાના આરાધના કેન્દ્રમાં 1985માં 22 મેના રોજ બપોરે 2.07 વાગ્યે આચાર્ય કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ને અગ્નિદાહ અપાયો હતો અને ત્યારથી દર વર્ષે આ દિવસે અને આ સમયે સૂર્યતિલક થકી પ્રભુ મહાવીરની પૂજા કરવાનું નક્કી થયું હતું. આ પરંપરા 40 વર્ષે પણ અવિરત ચાલે છે. કોબા જૈન તીર્થ ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા હાજર રહ્યા હતાં. આ પ્રસંગે મહાતીર્થમાં ઉપસ્થિત તમામ ગુરુભગવંતો દ્વારા પ્રવચનનું આયોજન પણ કરાયું હતું.
સૂર્યતિલકનું વિજ્ઞાન
વર્ષના ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે પળભરના ફેરફાર વગર નિયત સમયે મહાવીર સ્વામીના લલાટે સૂર્યતિલક થવાની ઘટનાના મૂળમાં ખગોળીય ગણિત અને તેની સચોટ ગણતરી છે. સૂર્યની ગતિ, દિશા, કોણ, અયન ભાગની સૂક્ષ્મ ગણતરી કરી આ. કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના અગ્નિદાહના સમય મુજબ મંદિરમાં સૂર્યના કિરણનું સ્થળ નક્કી કરાયું હતું. ખગોળ ગણિત અનુસાર જિનાલયના શિખર અને છતમાંથી સૂર્ય કિરણો સીધાં આવે તે રીતે રચના કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter