મુંબઈ: ગુજરાતી સમાજના લોકપ્રિય સમાજસેવક હેમરાજભાઈ શાહ લાંબી માંદગી બાદ આઠ સપ્ટેમ્બરે પ્રભાદેવી ખાતેના નિવાસે અંતિમશ્વાસ લઈને સૌને અલવિદા કરી ગયા છે. તેઓ 86 વર્ષના હતા. હેમરાજ શાહની છ દાયકાની યશસ્વી કારકિર્દીનો લાભ માત્ર ગુજરાતી સમાજને જ મળ્યો એવું નથી. મહારાષ્ટ્રીયન લાભાર્થીઓ પણ હતા. એમની રાજકીય નેતાગીરી અને સંપર્કનો લાભ કોઈ ભેદભાવ વિના સમાજને મળ્યો. ગુજરાતી ભાષાના ઊગતા કવિઓ અને લેખકોને પ્રોત્સાહિત કરવા ગિરનાર એવોર્ડ અને કચ્છશક્તિ એવોર્ડ માટે દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી યોગ્ય પાત્ર શોધીને એમને બિરદાવ્યા. કચ્છશક્તિ એવોર્ડના છેલ્લા ફંક્શનમાં તેઓ સીધા હોસ્પિટલમાંથી વ્હિલચેર પર આવ્યા હતા અને છેલ્લે સુધી કાર્યક્રમમાં હાજરી આપી હતી. મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય અકાદમી સૌપ્રથમ એમણે શરૂ કરાવી અને તેના કાર્યાધ્યક્ષ તરીકે એમણે ગુજરાતી ભાષા અને સાહિત્યને આપેલી સેવા ક્યારે ભૂલાશે નહીં.
છેલ્લા થોડા મહિનાઓથી તેઓ બીમાર હતા. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરિવાર સાથે શેષજીવન વિતાવ્યું. એમના બે પુત્ર ઉદયભાઈ અને અરવિંદભાઈએ સેવા સુશ્રુષા કરી હતી.


