કુપવાડાઃ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલમાં ભારત-પાક. નિયંત્રણ રેખા પાસે કિશનગંગા નદીના કિનારે સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પહેલીવાર 10 એપ્રિલે ગંગા આરતી કરાઇ હતી. કિશનગંગા નદીકિનારે બનાવાયેલા નવા ઘાટ પર યોજાયેલી આરતીમાં માતા શારદા મંદિરના દર્શને આવેલા તીર્થયાત્રીઓ રંગેચંગે જોડાયા હતા તો દેશભરથી આવેલા શ્રદ્ધાળુઓએ કિશનગંગામાં આસ્થાની ડુબકી લગાવી હતી. ભારતના ભાગલા પહેલા અહીં નિયમિત આરતી-પૂજન થતા હતા, પરંતુ કબાયલીઓના હુમલા બાદ પૂજા બંધ કરી દેવાઈ હતી. આરતીનું નેતૃત્વ સેવ શારદા કમિટી કાશ્મીરના સંસ્થાપક રવિન્દર પંડિતાએ કર્યું હતું. તાજેતરમાં જ શારદા મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને હવે અહીં ઘાટ પર આરતી સહિતના વિવિધ કાર્યક્રમો આયોજિત કરાતા રહેશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 22 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવનિર્મિત શારદા માતા મંદિરનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યુ હતું અને આજકાલ ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ટીટવાલમાં ઉત્સવ ચાલી રહ્યો છે.