નવી દિલ્હીઃ સિક્કીમથી કૈલાશ માનસરોવરની યાત્રા પાંચ વર્ષના લાંબા ગાળા પછી પુનઃ પ્રારંભ થયો છે. 36 પ્રવાસીઓના પહેલો જથ્થો શુક્રવારે સવારે સિક્કીમના નાથુલા બોર્ડર પોઇન્ટથી ચીન હસ્તકના તિબેટના સ્વાયત્ત ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો. 21થી 70 વર્ષની વયના યાત્રાળુઓના પહેલા જથ્થાને નાથુલામાં રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે વિદાય આપી હતી. તીર્થયાત્રીઓ માઉન્ટ એવરેસ્ટ અને માનસરોવર સુધી પહોંચવા માટે તિબેટના સ્વાયત્ત ક્ષેત્રમાં 11 દિવસ વીતાવશે.
ચીનની સરહદે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના અધિકારીઓ અને સેનાના જવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. 36 તીર્થયાત્રીઓમાં 23 પુરુષ અને 13 મહિલા યાત્રાળુ છે. યાત્રાળુઓ બે દિવસ સુધી 18 માઇલમાં બનાવાયેલા નવા અનુકૂલન કેન્દ્રમાં રોકાયા હતા. તેના પછી શેરથાંગમાં બે દિવસ રોકાયા. શુક્રવારે તેમની તબીબી સ્થિતિ અને દસ્તાવેજોની તપાસ પછી તે ચીનની સરહદની અંદર ગયા હતા. સિક્કીમ પ્રવાસન વિભાગના સીઈઓ રાજેન્દ્ર છેતરીએ જણાવ્યું હતું કે આ સિક્કીમ અને દેશ માટે ગૌરવની ક્ષણ છે . કૈલાસ માનસરોવર પર યાત્રાના યજમાન થવું તે સિક્કીમ માટે સૌભાગ્યની વાત છે. અમને પ્રવાસીઓ પાસેથી સકારાત્મક પ્રતિક્રિયા મળવાની શરૂ થઈ ગઈ છે.