લંડનઃ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૮૪મા જન્મદિનની ઉજવણી પ્રસંગે તેમના જીવન અને કવન વિશે ૨૪ પાનાના વિશેષ સુવેનિયરનું વિમોચન લંડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે શનિવાર, તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કરવામાં આવ્યું હતું. પૂ. મહંત સ્વામીએ આ સુવેનિયર જોઇને રાજીપો વ્યક્ત કર્યો હતો. આ મંદિરના સ્વપ્નદ્રષ્ટ્રા - સર્જક પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી અગણિત ભક્તોના આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુ હોવાની સાથે BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા તરીકે તેની વિશ્વવ્યાપી સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓના રાહબર છે.
BAPS સંસ્થાના આધ્યાત્મિક નેતા તરીકે મહંત સ્વામી મહારાજની યુકે અને યુરોપની પ્રથમ મુલાકાતની યાદગીરી સ્વરુપે આ સુવેનિયરનું પ્રકાશન ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ - એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ ગ્રૂપ (ABPL) દ્વારા કરવામાં આવ્યું છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના તમામ લવાજમી ગ્રાહકોને સુવેનિયરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અગણિત વાચકમિત્રો અને સત્સંગી ભાઇ બહેનો આ તસવીરસહ વિસ્તૃત માહિતી ધરાવતું સુવેનિયર વાંચીને ફોન, ટેક્સ્ટ અને ઇમેઇ દ્વારા આનંદ વ્યક્ત કરર્યો હતો.
આ સ્મરણિકામાં પૂજ્ય મહારાજના જીવન અને કાર્યો વિશે સુંદર માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમના મૂલ્યો અને ઉપદેશો સંબંધે જ્ઞાનવર્ધક સમજ આપવા સાથે તેમની પ્રેરણાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને વૈવિધ્યસભર કોમ્યુનિટી અંગે વિહંગાવલોકનનો સમાવેશ પણ આ સુવેનિયરમાં કરાયો છે.
BAPS Charities ના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ પલાણે મંદિરમાં સવારની ધર્મસભા દરમિયાન આ સુવેનિયર પૂજ્ય સ્વામીજીને અર્પણ કર્યું હતું. સ્મરણિકાના સત્તાવાર વિમોચન પછી મંદિરના ભક્તોને તેમના પરિવારો માટે પણ સુવેનિયરની નકલ આપવામાં આવી હતી. આ સુવેનિયર જો આપ ઓનલાઇન વાંચવા માંગતા હો, મિત્રો - પરિચિતોને મોકલવા માંગતા હો તો આ વેબલિંકનો ઉપયોગ કરવા નમ્ર વિનંતી છે.
http://bit.ly/2hwo7oF


