અમદાવાદ: બીએપીએસ શાહીબાગ મંદિરે યોજાયેલી રવિસભામાં અમેરિકી કોંગ્રેસમેન પીટ સેશન્સ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પૂ. ઈશ્વરચરણદાસજી સ્વામી અને પૂ. બ્રહ્મવિહારીદાસજી સ્વામીની મુલાકાત લઇ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સંતોએ બંને મહાનુભાવોને મંદિરનું સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું.
અમેરિકી કોંગ્રેસમેન પીટ સેશન્સે બીએપીએસ સંસ્થા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત-અમેરિકાના સંબંધો અંગે આ પ્રસંગે સદભાવની લાગણી પ્રકટ કરી હતી. તેમણે ભાવસભર સ્વરે જણાવ્યું હતું કે, બીએપીએસ સંસ્થા એવા મૂલ્યોને પ્રોત્સાહન આપે છે જે ભારત અને અમેરિકા બંનેના હૃદયમાં છે. શાંતિ, સમૃદ્ધિ, સખત પરિશ્રમ અને સ્વતંત્રતા, ભારત અને અમેરિકા વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારી માત્ર બે દેશોનો મેળાપ નથી, પણ ઉજ્જવળ ભવિષ્યની એક આશા છે.
તેમણે કહ્યું હતું કે મને યાદ છે જ્યારે ડો. એસ. જયશંકર અમેરિકામાં રાજદૂત હતા, ત્યારે તેમના અને તેમના સ્ટાફના પ્રયાસોથી હું ભારતની ખૂબ નજીક આવ્યો હતો. આજે જ્યારે આપણે પાછળ જોઈએ છીએ ત્યારે દેખાય છે કે અમેરિકાને ભારતીય બુદ્ધિશક્તિનો લાભ મળ્યો છે અને ભારતને અમારી ભાગીદારીનો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં મને મહાન પ્રમુખ રોનાલ્ડ રીગનની ઝલક દેખાય છે. બંને લોકપ્રિય પ્રભાવશાળી અને પરિણામલક્ષી નેતાઓ છે. હજુ તો અસીમ તકોનું આકાશ છે! ચાલો સાથે મળીને આગળ વધીને અને સાથે મળીને વિકાસ કરીએ.


