નાઈરોબીઃ ભારતના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકા દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે નેશનલ ડે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં રિપબ્લિક ઓફ કેન્યાના પ્રાઈમ કેબિનેટ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરી ફોર ફોરેન એન્ડ ડાયસ્પોરા એફેર્સ માનનીય મુસાલીઆ ડબલ્યુ મુડાવાડીએ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
રિસેપ્શન ઈવેન્ટમાં યુએન-હેબિટેટમાં કેન્યાના કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર નાખુમિચા વાફુલા E.G.H., કેબિનેટ સેક્રેટરીઓ, પ્રિન્સિપાલ સેક્રેટરીઓ, હાઈકમિશનરો અને રાજદૂતો, યુએન સંસ્થાઓના વડાઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ડિપ્લોમેટિક કોર્પ્સના સભ્યો, બિઝનેસ અગ્રણીઓ, મીડિયા અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે સહભાગી મૂલ્યો અને આપસી આદર પર આધારિત ભારત અને કેન્યા વચ્ચેની મજબૂત, બહુલક્ષી અને ઐતિહાસિક પાર્ટનરશિપની શક્તિ દર્શાવે છે.
રિસેપ્શનની સાંજે ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાને દર્શાવતા સાંસ્કૃતિક પરફોર્મન્સીસે સહુ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત, જીવંત રસોઈ અને પરંપરાગત સ્વાદ-સોડમ સાથે તૈયાર કરાયેલી ભારતીય વાનગીઓનો રસથાળ પણ સહુએ માણ્યો હતો.


