લંડનઃ મહાશિવરાત્રિના પર્વની નીસડનમાં આવેલા BAPS સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે મંગળવારને ૧૩મી ફેબ્રુઆરીએ ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. મહાશિવરાત્રિ હિંદુ કેલેન્ડરમાં ભગવાન શિવની ભક્તિ- ઉપાસનાનો ખાસ દિવસ છે. સવારે સ્વામીઓએ શિવલિંગ પર અભિષેક સાથે ઉજવણી શરૂ કરી હતી.
ભગવાન શિવની પૂજા અર્ચના માટે મંદિરે દિવસભર શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો અને ભક્તોએ શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કર્યો હતો.
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પ્રકાશક-તંત્રી સી. બી પટેલે પણ હરહંમેશની જેમ મંદિરના કોઠારી સંત
પૂ. યોગ વિવેક સ્વામીના સથવારે શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
શિવલિંગ પર બીલીપત્રો પણ ચડાવવામાં આવ્યા હતા. હવેલીના પ્રવેશદ્વારે બરફનું શિવલિંગ બનાવાયું હતું. મહાશિવરાત્રિની ઉજવણીના ભાગરૂપે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સમક્ષ વિવિધ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.


