અમદાવાદ સ્થિત મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળની સુવર્ણ જયંતી પ્રસંગે યોજાયેલા 21 દિવસના મહાવિષ્ણુયાગની રંગેચંગે પૂર્ણાહૂતિ થઇ હતી. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુલ સુવર્ણ જયંતી નિમિત્તે ચિંતન ગુરુજી અને ભગીરથભાઈ ત્રિવેદી અને દર્શનમના ઋષિકુમારોના વેદ ધ્વનિ સાથે મહાવિષ્ણુયાગનું સમાપન થયું હતું. 21 દિવસના મહાવિષ્ણુયાગ પ્રસંગે બ્રહ્મચોરાસીમાં 1100 ઉપરાંત બ્રાહ્મણોએ ભોજનપ્રસાદ લીધો હતો. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે મુંબઇના ગાંધી બંધુમાંથી ધર્મેન્દ્રભાઈ ગાંધી, કે. વરસાણી (લંડન), ડો. ધડુક (અમેરિકા), જીજ્ઞેશભાઈ પાધરા, કશ્યપભાઈ કાકડિયા વગેરેએ લાભ લીધો હતો. પ્રસંગની વિશેષતા એ હતી કે ભારતના 1008 તીર્થ સ્થાનોની માટીથી યજ્ઞકુંડa રચાયા હતા. 10 હજારથી વધુ હરિભક્તો પ્રદક્ષિણામાં જોડાયા હતા. પાંચ લાખથી વધુ હરિભકતોએ યજ્ઞનો લાભ લીધો હતો. યજ્ઞ પ્રસંગે જૂનાગઢ, વડતાલ, ગઢપુર, મૂળી વગેરે ધર્મસ્થાનોના કોઠારી મહંતો દર્શને પધાર્યા હતા.


