સુરતઃ લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ ઉપરાંત પરિસરમાં અન્ય સાત મંદિરોની પણ પ્રાણપતિષ્ઠા થઈ છે. આ તમામ મંદિર માટે પણ સુરતના હીરાના ઉદ્યોગપતિ મુકેશ પટેલે કરોડો રૂપિયાની કિંમતના સોનાચાંદી અને રત્નોજડિત આભૂષણો અને પ્રતિમા સાથે ભગવાનના શસ્ત્રો દાનમાં આપ્યા છે.
સુરતમાં લેબગ્રોન ડાયમંડ અને જવેલરીની મોટી પેઢી ગ્રીનલેબના માલિક મુકેશ પટેલે આ આભૂષણો અંગે કહ્યું હતું કે, રામમંદિર પ્રત્યેની આસ્થાએ મને અને મારા પરિવારને હંમેશા પ્રભુના ચરણોમાં દાન કરવા માટે પ્રેરણા આપી છે. ગત વર્ષે અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન પ્રભુ રામના મસ્તક પર મુગટ અર્પણ કરવાનું સૌભાગ્ય મારા પરિવારે મેળવ્યું હતું. કુલ 6 કિલો વજન ધરાવતા મુગટમાં સાડા ચાર કિલોગ્રામ સોનુ વપરાયું હતું. ઉપરાંત નાની મોટી સાઈઝના હીરા, માણેક, મોતી, પર્લ, નિલમ વગેરે રત્નો જડવામાં આવ્યા હતાં.
તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રભુ રામના મંદિરમાં પહેલા માળે રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ છે. આ દરબારમાં સ્થાપિત પ્રતિમા અને પરિસરના અન્ય સાત મંદિર માટે પણ અન્ય આભૂષણોની ભેટ ધરવાનું સૌભાગ્ય અમારા પરિવારે મેળવ્યું છે. પ્રભુને ભેટ પરેલા આ ઘરેણાંમાં પણ 1000 કેરેટના હીરા, 30 કિલો ચાંદી, 3000 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબીથી બનેલા મુગટ તૈયાર કર્યા છે. આ ઉપરાંત, ભગવાન રામ સહિત ચારેય ભાઈ માટે હાર, બુટ્ટી, તિલક, ધનુષ્ય અને તીર પણ છે. આ ઘરેણાં હું અને દિનેશભાઈ નાવડિયા ચાર્ટડ પ્લેન દ્વારા અયોધ્યા લઈને આવ્યા હતા.
દિનેશ નાવડિયાએ કહ્યું કે, ગુરુવારે રામ દરબાર જે રામલલાના ગર્ભગૃહની ઉપર એટલે કે પહેલા માળે બનાવાયો છે, તેની પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા. કાશીના પૂજારી જય પ્રકાશ ત્રિપાઠીએ 101 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કર્યા પછી, મૂર્તિઓ પર બાંધેલી આંખો પર પટ્ટી ખોલવામાં આવી હતી અને તેમને દર્પણ બતાવવામાં આવ્યો હતો. ભગવાન રામ ગર્ભગૃહમાં બાળકના રૂપમાં છે, જ્યારે તેઓ રામ દરબારમાં રાજા તરીકે બિરાજમાન છે.
પહેલા માળે રામદરબારનું વર્ણન કરતાં કહે છે કે, રામ દરબારનું કોતરકામ પણ ગર્ભગૃહની જેમ જ કરાયું છે. રામ દરબારનું નિર્માણ રામ મંદિરમાં પહેલા માળે કરાયું છે. આ મંદિરનું નકશીકામ પણ ગર્ભગૃહની જેમ કરાયું છે. જયપુરમાં રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરાઇ છે.