મહુવાઃ પ.પૂ. મોરારિબાપુ અને તેમની વ્યાસપીઠ સાથે સાડા પાંચ દાયકા જેટલા દીર્ઘ સમયથી જોડાયેલા, કેન્યામાં વસતા સાધક શ્રોતા બબીભાઈનું અવસાન થયું છે. આ એ જ બબીભાઈ છે જેઓ વિદેશમાં બાપુની વ્યાસપીઠના પહેલાં યજમાન બનવાનું સદભાગ્ય પામ્યા હતા. સાઉથ આફ્રિકામાં બાપુએ વિદેશની ધરતી પર પ્રથમ પોથી બબીભાઈના પરિવારના મસ્તક પર મૂકી હતી. બાપુએ આપેલી કાળી કામળી પણ બાપુની માફક જ ખભે રાખતા, કવચિત બાપુના હિંચકા પાસે જ ખુરશીમાં બેસતા, બાપુએ એમની ભીતરનો ભક્તિભાવ ભાળીને એમનું હુલામણું નામ ‘ભગત’ રાખેલું હતું. બબીભાઈ નવ દિવસ પૂર્વ ભારત આવ્યા હતા. તે વેળા સંતાનોએ સમજાવ્યા કે આવી ગરમીમાં ભારત ન જાવ તો સારું, પણ સમર્પિત આશ્રિત બબીભાઈ ભારત આવ્યા. બાપુનાં આખરી દર્શન કર્યા અને અહીં જ ગુરુકૂળની તુલસી કુટિરમાં મુકામ કર્યો હતો અને ત્યાં જ દેહ છોડ્યો હતો.