ઉજ્જૈન: દેશભરમાં શુક્રવારે મહાશિવરાત્રિ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ પવિત્ર દિવસને ભગવાન શિવના મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભાંગ-મેવાથી મહાકાલનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરના પટ શનિવારે રાત્રે 10-30 સુધી ખુલ્લો રહ્યો હતો તેથી ભક્તો 44 કલાક માટે બાબા મહાકાલના દર્શન કરી શક્યા હતા. અહીંયા 12 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. મહાશિવરાત્રિ પર વારાણસીના શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં વહેલી સવારે 3-30 કલાકથી દર્શન, પૂજન અને જળાભિષેક શરૂ થઇ ગયા હતા અને સવારે 6 વાગતા સુધીમાં તો મંદિરની બહાર ત્રણ કિલોમીટર લાંબી લાઈન લાગી અને ભક્તોની ભીડ ઝડપથી વધવા માંડી હતી. કેટલાક કલાક પછી સવારે 10 કલાકે સંખ્યા 4.5 લાખ ઉપર પહોંચી ગઈ હતી.
બપોરે 12 કલાક સુધી સાડા પાંચ લાખ શ્રદ્ધાળુઓએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા. મોડી સાંજ સુધીમાં આ સંખ્યા 8 લાખ ઉપર પહોંચી ગઈ હતી.