અયોધ્યાઃ રામમંદિરનું નિર્માણકાર્ય આગામી જૂન 2025 સુધીમાં પૂર્ણ થઇ જવાની શક્યતા શ્રી રામ જન્મભૂમિ મંદિર બાંધકામ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાણપ્રતિષ્ઠાથી અત્યાર સુધી બાંધકામને એક વર્ષ થયું છે. વર્ષ 2025 સુધીમાં ઓડિટોરિયમ સહિતનું કામ પૂર્ણ થાય તેવી આશા છે. અગાઉ પ્રતિકૂળ આબોહવા વચ્ચે કામદારોની અછતને પગલે બાંધકામમાં વિલંબ થયો હતો. મંદિરનું નિર્માણ કરતી કંપની લાર્સન એન્ડ ટૂબ્રોને કામદારોની સંખ્યા વધારવા માટેનો નિર્દેશ અપાયો છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન પ્રતિકૂળ આબોહવાને પગલે કામદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જો વધુ 200થી 250 કામદારોને ઉમેરવામાં નહીં આવે તો ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવું મુશ્કેલ બનશે. અત્યારે કામ નિર્ધારિત સમય કરતાં બે મહિના મોડું ચાલી રહ્યું છે.


