પેરિસ / બુસી-સેંટ-જ્યોર્જેસઃ યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’માં સામેલ થયા હતા.
યુનેસ્કો ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ મંડળ દ્વારા આયોજિત આ સમારોહમાં યુરોપ, આફ્રિકા, એશિયા, આરબ દેશો, અમેરિકા અને કેરેબિયન પ્રદેશના રાજદૂતો, કાયમી પ્રતિનિધિઓ અને અન્ય વરિષ્ઠ રાજદ્વારી પ્રતિનિધિઓ તેમજ યુનેસ્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર નિર્માણમાં મૂળભૂત એવા સેવા, સાંસ્કૃતિક સમજણ અને સંવાદના મૂલ્યોનો પરિચય કરાવતા કાર્યક્રમ પહેલાં મહેમાનોને પરંપરાગત ભારતીય ભોજન સમારંભ યોજાયો હતો.
યુનેસ્કો ખાતે ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ વિશાલ શર્માએ સભાને સંબોધતાં મંદિરને ‘ભારતની સભ્યતા, વારસા અને ભારત-ફ્રાન્સના સહયોગથી સાકાર થયેલી શિલ્પકળાના અદભૂત સંગમ’ તરીકે વર્ણવ્યું હતું. યુનેસ્કોના સંદર્ભમાં મંદિરના મહત્ત્વ અંગે તેમણે કહ્યું, ‘યુનેસ્કો સાથે સંકળાયેલા આપણા સૌના માટે આ મંદિરનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે સંસ્કૃતિ અને વારસાનું જતન યુનેસ્કોના હાર્દમાં છે.’
તેમણે વધુમાં જણાવ્યું, ‘અહીં ભારતીય સાંસ્કૃતિક વારસો ભારતની બહાર એક જીવંત પરંપરા તરીકે દ્રશ્યમાન થઈ રહ્યો છે. ભારતમાં નિર્મિત અને ફ્રાન્સમાં એસેમ્બલ્ડ એવું આ મંદિર વિશ્વ દ્વારા આવકાર પામ્યું છે.’
એક વિશેષ ફિલ્મ દ્વારા મંદિર અને તેના નિર્માણ પાછળના અસાધારણ સહયોગની ગાથા રજૂ કરાઇ હતી, જેમાં મંદિર નિર્માણમાં સદીઓ જૂની ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય પરંપરાઓનું ફ્રાન્સની ઇજેનરી કુશળતા સાથે થયેલું અનોખું સંયોજન દર્શાવાયું હતું.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર જ્યોતિ હોસાગ્રહરે જણાવ્યું કે યુનેસ્કો જે જીવંત વારસા અને સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છે છે તેને મંદિર મૂર્તિમંત કરે છે. યુનેસ્કો આવી પહેલને વિશેષ મહત્ત્વ આપે છે, જે સાંસ્કૃતિક વૈવિધ્યની ઉજવણી કરે છે, સમુદાયો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે તથા આંતરસાંસ્કૃતિક સંવાદ અને પરસ્પર સમજણને પ્રોત્સાહિત કરે છે.’


