જેમ કેરી પાકે તેમ મીઠી બને, તેમ સત્સંગથી માણસના જીવનમાં સદ્ગુણોની મીઠાશ આવે છેઃ સાધુ પ્રેમવત્સલદાસજી

Wednesday 01st July 2026 06:28 EDT
 
 

અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે ભગવાન સમક્ષ ભવ્ય ‘કેરીનો મનોરથ’ યોજાયો હતો. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ કેરીના અવનવા 21 વ્યંજનો તૈયાર કરીને ભવ્ય અને આકર્ષક અન્નકૂટ ધરાવાયો હતો. આ દર્શનનો લાભ લઈને હજારો ભક્તો ધન્ય બન્યા હતા. આ મનોરથના શુભ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રેરણાદાયી પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, ‘ભગવાનને કેરી ધરાવવાની આ પરંપરા આજની નથી, પણ 200 વર્ષ જૂની છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢડા અને વડતાલમાં બિરાજમાન હતા, ત્યારે દેશ-વિદેશના ભક્તો ભગવાન માટે ગાડું ભરી-ભરીને ઉત્તમ કેરીઓ મોકલતા હતા. ભગવાન સ્વામિનારાયણ પણ એ તમામ કેરીઓનો રસ કરાવીને સંતો અને હરિભક્તોને પંગતમાં પીરસીને તૃપ્ત કરતા હતા અને આનંદ કરાવતા હતા. આજે કુમકુમ મંદિરમાં એ જ દિવ્ય સ્મૃતિઓ તાજી થઈ છે.’

​સાધુ પ્રેમવત્સલદાસજીએ કેરીના માધ્યમથી માનવ જીવનને સુધારવાનો એક ખૂબ જ સુંદર અને માર્મિક સંદેશ આપતાં ઉમેર્યું હતું કે, ‘કેરી જ્યારે ઝાડ પર કાચી હોય ત્યારે તે તુરી અને કડવી હોય છે, સમય જતાં તે ખાટી થાય છે અને જ્યારે તે પૂરેપૂરી પાકે છે ત્યારે તે અત્યંત મીઠી અને રસદાર બને છે. માણસના જીવનનું પણ કંઈક આવું જ છે. માણસ પણ શરૂઆતમાં કાચી કેરી જેવો સ્વભાવ ધરાવતો હોય છે, તેનામાં ક્રોધ, અહંકાર કે કડવાશ હોઈ શકે છે. પરંતુ, જેમ જેમ તે ભગવાનનો આશરો લે છે, સત્સંગ કરે છે અને સંતોના સમાગમમાં આવે છે, તેમ તેમ તેના જીવનની કડવાશ દૂર થાય છે. સત્સંગરૂપી ગરમાવો મળતાં જ માણસ પાકી કેરી જેવો મધુર બને છે અને તેના જીવનમાં દયા, નમ્રતા અને પ્રેમ જેવા રૂડા ગુણોની મીઠાશ ભરાય છે.’
આ મનોરથને સફળ બનાવવા માટે મંદિરના સંતો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અન્નકૂટના દર્શન બાદ તમામ હરિભક્તોને કેરીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter