લિલોન્ગ્વે, મલાવીઃ મલાવીની રાજધાની લિલોન્ગ્વેમાં નવાં BAPS હિન્દુ મંદિરનો શિલાન્યાસવિધિ યોજાયો હતો જેમાં દેશવિદેશથી 950થી વધુ ભક્તજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિલાન્યાસવિધિ દરમિયાન પ્રિયવ્રત સ્વામી અને BAPSના અન્ય સ્વામીઓ, માલાવીસ્થિત ભારતીય હાઈ કમિશનર એસ. ગોપાલકૃષ્ણન, હિન્દુ સેવા સમાજ માલાવીના પ્રેસિડેન્ટ પ્રમોદભાઈ કાલરિઆ તેમજ સમગ્ર માલાવીના 11 ભારતીય કોમ્યુનિટી સંગઠનોના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ભક્તજનોએ આ ઊજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ફાઉન્ડેશન્સને તૈયાર કરવામાં અને સમગ્ર પરિસરને શણગારવાની જહેમત ઉઠાવી હતી. શિલાન્યાસ વિધિમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મહાપૂજા કરાયા પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે પવિત્ર કરાયેલા કુંભો અને પાયાના પત્થરોને ગોઠવવામાં આવ્યા હતા. ભક્તજનો અને મહાનુભાવોએ શિલાન્યાસ મહાપૂજામાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ પવિત્ર પ્રોજેક્ટ ઝડપથી અને સફળતાપૂર્વક પરિપૂર્ણ થાય તેવી ભક્તજનોએ પ્રાર્થના કરી હતી. સમગ્ર સમારંભમાં ગૌરવ અને આનંદનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆતમાં યુવાનોએ ભજન,કીર્તન રજૂ કર્યા હતા.