નવી દિલ્હીઃ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઇન સર્જરી કરાઇ છે. તેઓ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના ગંભીર દુખાવાથી પીડાતા હતા. પીડાની ગંભીરતા છતાં તેમણે પોતાનો સામાન્ય દૈનિક કાર્યક્રમ અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખ્યાં હતાં. તેમણે આઠમી માર્ચે શિવરાત્રી મહોત્સવનું આયોજન પણ કર્યું હતું. સદ્ગુરુ જગ્ગી વાસુદેવની તબિયત 15 માર્ચે વધારે બગડી હતી. તેમણે બપોરે પોણા ચાર વાગ્યે દિલ્હીની ઈન્દ્રપ્રથ એપોલો હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર ન્યૂરોલોજિસ્ટ ડો. વિનીત સૂરી સાથે ટેલિફોન પર પરામર્શ કર્યો હતો. તેમણે તત્કાલ એમઆરઆઈની સલાહ આપી હતી. તે જ દિવસે સાંજે સાડા ચાર વાગ્યે સદ્ગુરુનું બ્રેઇન એમઆરઆઈ કરાયું હતું. જેમાં તેમના બ્રેઇનમાં મોટા પ્રમાણમાં રક્તસ્રાવ હોવાની જાણ થઈ હતી.