પ્રભાસ પાટણઃ રવિવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઇ હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતિક છે. આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. યુગયુગાંતરથી સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે.
પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું છે. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરાઇ હતી. આજે આ મહાન ક્ષણને 75 વર્ષ થયા છે.
મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરાયો હતો અને એ ધન્ય પળે 101 તોપોની સલામી આપવામાં આવી હતી.
શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ, સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજા રોહણ કરવામાં આવી હતી. તેમજ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે જ સવારે 9:46 વાગ્યે મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વેળા પ્રસંગે જે પ્રકારે શૃંગાર કરવામાં આવ્યો હતો જ પ્રકારે ભસ્મ ત્રિપુંડનો શૃંગાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ઉપરાંત ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો મોટી સંખ્યામાં જોડાયા હતાં. તો સંધ્યા આરતી સમયે મહાશ્રૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવી હતી.