લંડનઃ વેસ્ટ બ્રોમવિચના શ્રી કૃષ્ણ મંદિર દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન શનિવાર 6 જૂને સત્તાવારપણે રૂફ ફંડરેઈઝર લોન્ચ કરાયું હતું. પવિત્ર પુરુષોત્તમ માસમાં વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આ દિવસે ખાસ શ્રી વિષ્ણુ સહસ્રનામ પૂજા પણ કરવામાં આવી હતી.
લોન્ચિંગનો આરંભ વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની પૂજા સાથે કરવામાં આવ્યો હતો. આ પછી, આગળના કાર્યની પરિપૂર્ણતા અર્થે દિવ્ય આશીર્વાદ મેળવવા પવિત્ર કળશ પૂજા કરાઈ હતી. મંદિર, કોમ્યુનિટી અને ફંડરેઈઝિંગ અપીલની સફળતામાં ભગવાનના આશીર્વાદ મેળવવા સુમંતભાઈ પ્રસાદ બાસ્યાલ અને રાકેશભાઈ ભટ્ટની આગેવાની હેઠળ ભક્તો પણ શ્રી વિષ્ણુ સહસ્રનામ પાઠના ઉચ્ચારમાં સાથે જોડાયા હતા. આ પ્રાર્થનાઓથી ગાઢ આધ્યાત્મિક વાતાવરણ રચાયું હતું તેમજ સમુદાય, મંદિર અને દાયકાઓથી ભક્તિ-સમર્પણ સાથે પૂજા કરાતી રહી છે તે મૂર્તિઓ વચ્ચે ગાઢ બંધનનું પ્રદર્શન જોવાં મળ્યું હતું.
બંને પૂજારીઓએ શ્રદ્ધાળુઓને યાદ કરાવ્યું હતું કે પુરુષોત્તમ મહિનો પ્રાર્થના, ચિંતન અને સેવાકાર્યો માટે પવિત્ર સમય છે. તેમણે શ્રદ્ધાળુઓને ફંડરેઈઝિંગ અપીલને સપોર્ટ કરવા પ્રોત્સાહન આપતા સમજાવ્યું હતું કે આ પવિત્ર મહિના દરમિયાન ભગવાનના ઘરની જાળવણીમાં મદદ કરવી તે જ અર્થપૂર્ણ સમર્પણનું કાર્ય છે. આ ઈવેન્ટમાં મંદિરના રૂફ ફંડ રેઈઝર વીડિયોનું પ્રીમિયર કરાયું હતું જેમાં આસ્થા, આશા અને સમર્પણ સાથે ભગવાનની શરણમાં જતાં લોકોની જીંદગીઓમાં મંદિરની ભૂમિકાને હાઈલાઈટ કરવામાં આવી હતી. મંદિર યુથ ક્લબના યુવા સભ્યોએ તેમના માટે મંદિર શું છે અને અપીલને સપોર્ટ કરવાનું શાથી મહત્ત્વપૂર્ણ છે તે વિશે વિચારો રજૂ કરવા સાથે મંદિરનો વારસો આગામી ભાવિ પેઢીઓ માટે પણ હોવાનું સમજાવ્યું હતું.
શ્રી કૃષ્ણ મંદિરના પ્રેસિડેન્ટ હેમાબહેન એમ. પટેલે અવિરત સપોર્ટ બદલ કોમ્યુનિટીનો આભાર માન્યો હતો તેમજ મંદિર અને તેની મૂર્તિઓ સાથે ભક્તોનો સંબંધ અનોખો હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે યાદ કરાવ્યું હતું કે ભગવાન હંમેશાં આપણા માટે હાજર હોય છે તેમ હવે આપણે પણ ભગવાનના ધામની સંભાળ રાખવાની છે અને ભાવિ પેઢીઓ માટે મંદિરના રક્ષણમાં મદદ કરવાની છે. દાન આપવા માટે www.gofundme.com/f/shree-krishna-mandir-west-bromwich-roof-fundraiser ની મુલાકાત લેવા અનુરોધ છે.


