લંડનઃ ઝોરોસ્ટ્રીયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સ્થાપક ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તથા ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા ડો. દાદાભાઈ નવરોજીની ૩૦મી જૂને પુણ્યતિથિ છે. તેમની નિર્વાણ શતાબ્દી નિમિત્તે હેરોમાં પ્રાર્થના સભા તેમજ તેમના જીવન અને સિદ્ધિઓ વિશે વક્તાઓ દ્વારા પ્રવચનનું આયોજન કરાયું છે.
ડો. દાદાભાઈનો જન્મ ૪ સપ્ટેમ્બર,૧૮૨૫ના રોજ થયો હતો અને તેમનું નિધન ૩૦ જૂન, ૧૯૧૭ના રોજ થયું હતું. ૯૧ વર્ષના જીવન દરમિયાન તેમણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ૧૮૮૫માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં તેમની મેથેમેટિક્સ અને નેચરલ ફિલોસોફીના પ્રોફેસર તરીકે નિમણુંક કરવામાં આવી ત્યારે તેઓ કોલોનિયલ ઈન્ડિયામાં શૈક્ષણિક હોદ્દો મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા. તે જ વર્ષે શેઠ મંચેરજી હોરમુસજી કામા અને ખુરશીદજી રુસ્તમજી કામા સાથે દાદાભાઈ લંડનમાં કામા એન્ડ કંપનીના ઉદઘાટન માટે ગયા હતા. તે બ્રિટનમાં સ્થપાયેલી પ્રથમ ભારતીય ટ્રેડિંગ કંપની હતી. ૧૮૫૯માં યુનિવર્સિ઼ટી કોલેજ ઓફ લંડનમાં પ્રથમ ભારતીય પ્રોફેસર તરીકે દાદાભાઈની ગુજરાતીના પ્રોફેસરના હોદ્દે નિમણુંક થઈ હતી.
દાદાભાઈએ શેઠ મંચેરજી સાથે મળીને ૧૮૬૧માં Zoroastrian Trust Funds of Europe (ZTFE) ની સ્થાપના કરી હતી, જે હાલ યુકેમાં સૌથી જૂની ભારતીય/એશિયન ધર્મ આધારિત સ્વૈચ્છિક સંસ્થા છે. દાદાભાઈ ZTFE ના સૌથી લાંબો સમય સુધી ટ્રસ્ટી (૧૮૬૧-૧૯૦૮) અને પ્રેસિડેન્ટ (૧૮૬૩-૧૯૦૮) પદે રહ્યા હતા. તેઓ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક સભ્ય હતા અને ત્રણ ટર્મ સુધી તેના પ્રમુખપદે ચૂંટાયા હતા. તેઓ યુકેની પાર્લામેન્ટમાં ૧૮૯૨માં લીબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે સેન્ટ્રલ ફિન્સબરીથી પ્રથમ ભારતીય તરીકે MP પદે ચૂંટાયા હતા
એરવાદ સાહેબો (ઝોરોસ્ટ્રીયન પાદરીઓ) અવેસ્તી ભાષામાં શુક્રવાર તા.૩૦ જૂને સાંજે ૫ વાગે ઝાર્ટોશ્ટી બ્રધર્સ હોલ, ઝોરોસ્ટ્રીયન સેન્ટર, હેરો ખાતે વરસીની પ્રાર્થના કરશે. વધુ માહિતી માટે સંપર્ક. 020 8866 0765