રાજકોટઃ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં 19 જૂને મધરાતે રૂ. 2.49 કરોડની મતાની લૂંટ થઈ ગઈ. શાપર સ્ટેટના મોભી 77 વર્ષના વૃદ્ધ જિતેન્દ્રસિંહ અજિતસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લુટારુઓએ તેમને બંધક બનાવી રોકડ અને દાગીના મળી રૂ. 2.49 કરોડની મતાની લૂંટ કરી. લુટારાઓ રોકડ અને દાગીનાની સાથે સાથે બાર બોરની લાઇસન્સવાળી રાઇફલ અને મોબાઇલ ફોન પણ લૂંટી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. લૂંટના પગલે રેન્જ આઇજી, જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લુટારાઓને ઝડપવા તપાસ હાથ ધરી હતી. લૂંટનો ભોગ બનેલા શાપર સ્ટેટના મોભી જિતેન્દ્રસિંહ જાડેજાને લુટારાઓ દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો.

