જ્યાંથી જે લેવાનું નીકળતું હોય તે સમયસર પ્રામાણિકતાથી માંગી લેવામાં જ આપણી અને સામેવાળાની ભલાઈ છે

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 05th April 2022 13:47 EDT
 
 

કેટલી વાર તમે પોતાની જરૂરિયાત કે ઈચ્છા પૂરી કરવા માટે કોઈની સામે અવાજ ઉઠાવી શકો છો, અરજી કરી શકો છો? કેટલીય વાર આપણને પોતાના અધિકારની માગણી કરવામાં પણ શરમ આવતી હોય છે, સંકોચ થતો હોય છે અને તેને કારણે જે મેળવવાને આપણે હકદાર હોઈએ તે પણ પામી શકતા નથી. આટલી નાની માંગણી કરીને સોનાની જાળ પાણીમાં શા માટે નાંખવી તેવું વિચારીને આપણે નાની-મોટી વસ્તુઓ કે જેના માટે પોતાના સંગઠનમાં, કંપનીમાં કે પરિવારમાંથી હકદાર હોઈએ તે પણ જતી કરતા હોઈએ છીએ. પરિણામ એવું આવે છે કે જે આપણને આપવા બંધાયેલા હોય તેમને તો લાગતું હોય છે કે અધિકાર પ્રમાણે સૌ પોતપોતાની સેવા કે વસ્તુઓ પ્રાપ્ત કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં એવું થતું નથી.

આવી સ્થિતિ સરકારી ઓફિસમાં ઘણી વાર થાય છે. જે લોકો સરકારની કોઈ યોજના માટે કંઈક મેળવવાને હકદાર હોય અને જો તેઓ લાભ ન મેળવે તો વચ્ચેથી કોઈ ગફલત કરી જાય કે પછી તે વસ્તુ પછી કોઠારમાં જતી રહે તેવું બને છે. જૂના સમયમાં જેઓ ભારતમાં રહ્યા હશે તેમને યાદ હશે કે સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન, ખાંડ, રાશન વગેરે મળતું. આવી વસ્તુઓ મેળવવા માટે કેટલાય પરિવારના લોકો હરોળમાં ઉભા રહેતા. જયારે પોતાનો વારો આવે ત્યારે જ દુકાનદાર દરવાજો બંધ કરે અને કહે કે જથ્થો સમાપ્ત થઇ ગયો છે. નિરાશા અને સંકોચથી એ માણસ ફરી વાર ત્યાં જતા અચકાય છે. પરંતુ તેના નામે જે પુરવઠો સરકાર મોકલતી હોય એ તો આવતો જ રહે છે. પછી તેનો ઉપયોગ કાળા બજારી માટે થતો એવું પણ બનતું.
ક્યારેક સંબંધોમાં પણ તમને જે લેવા-દેવાનું થતું હોય તેની માંગણી ન કરો, શરમમાં રહી જાઓ તો સામેની વ્યક્તિને લાગે છે કે આપણે અભિમાની છીએ અથવા તો જરૂરિયાત નથી. ક્યારેક કોઈ એવું પણ મને છે કે આપણે માંગતા ભૂલી ગયા છીએ. ઉધાર આપેલા પૈસા મંગાવામાં શરમ અનુભવતા હોઈએ અને સામેની વ્યક્તિ પોતે ક્યારેય પણ વાત જ ન ખોલે. પરિણામે આપણે તે પૈસા ગયા ખાતે લખી દેવા પડ્યા હોય તેવું બન્યું છે ક્યારેય? આવા કિસ્સા તો લગભગ બધાના જીવનમાં બનતા જ હોય છે. ઉધાર માંગીને પાછા ન દેનારા લોકોની સંખ્યા તો ખુબ મોટી છે અને વળી સગા-સંબંધીઓમાં હોય તો તો તેમના વિશે ક્યારેય વાત પણ ન કરાય. બોલાય જાય તો સંબંધ બગડે એવા ડરથી કેટલાય લોકો બે-પાંચ હજાર જતાં કરીને બેઠા હોય છે.
વાત ટૂંકમાં એ છે કે જ્યાંથી જે લેવાનું નીકળતું હોય તે સમયસર પ્રામાણિકતાથી માંગી લેવામાં જ આપણી અને સામેવાળાની ભલાઈ છે. જો આપણે તે ન માંગીએ તો સસ્તા અનાજની દુકાનની જેમ પુરવઠો વેડફાઈ જાય અથવા તો કાળા બજારમાં વેંચાઈ જાય. સંબંધમાં ન માંગીએ તો સામેની વ્યક્તિ ક્યારેક અભિમાની પણ ગણી લે અને ઉધાર ન ઉઘરાવીએ તો કોઈને એકેય વાર એવું ન થાય કે તેઓ સામેથી આવીને આપણા નાણાં ચૂકવે. કંપનીમાંથી મળતા લાભ ન લેવાથી તે પણ વ્યર્થ જાય અથવા મેનેજમેન્ટને લાગે કે હવે લોકોને આ લાભ કે સુવિધાની આવશ્યકતા નથી અને તે કદાચ આવા લાભ કે સુવધા આપવાનું જ બંધ કરી દે. માટે ભલાઈ એમાં જ છે કે તમારું બનતું હોય તે માંગી લેવું અને લઇ લેવું. નાહકની શરમમાં કે સંકોચમાં રહીને વ્યવસ્થામાં ખલેલ કરવો નહિ.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus