નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યાં બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે જુની તસવીર વાયરલ થઈ છે. આ તસવીરોને લોકો કેન્દ્ર સરકારનાં નિર્ણયના સંદર્ભે જોઈ રહ્યાં છે. આ તસવીરમાં બતાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી ઘણા વર્ષો પૂર્વેથી કલમ ૩૭૦નો વિરોધ કરી રહ્યાં છે અને હવે વડા પ્રધાન બન્યાં બાદ તેણે આ કલમ હટાવી દીધી છે.
સોશ્યલ મીડિયામાં શેર કરવામાં આવેલી એક તસવીર કોઈ વિરોધ પ્રદર્શન દરમિયાનની છે. એમાં વડા પ્રધાન મોદી કોઈ અન્ય લોકો સાથે બેઠેલા જોવા મળે છે. તેની પીઠ પાછળ એક બેનર લગાવેલું છે કે જેમાં લખ્યું છે, ‘૩૭૦ હટાવો, આતંકવાદ હટાવો અને દેશ બચાવો’. કેટલાક લોકો આ તસવીર ૧૯૯૨ની હોવાનું જણાવે છે, પરંતુ આ દાવાને સમર્થન મળતું નથી.
તે સમયે મોદી ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશીની સાથે એકતા યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા ૧૧ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ શરૂ થઈ હતી અને ૧૯૯૨માં મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદીએ શ્રીનગરના સંદેવનશીલ લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સમયે મોદી તેમની નજીક ઊભા હતા, જે તસવીર અહીં ડાબે જોવા મળી રહી છે.
આ બન્ને તસવીરો વાઇરલ થયા બાદ લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપીને વડા પ્રધાન મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. લોકોએ મોદીના નિર્ણયને સાહસિક ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કલમ ૩૭૦ને રદ કરવાનો મુદ્દો ભાજપના એજન્ડામાં વર્ષોથી હતો.