નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ મામલે એક વેબસાઇટ ધ વાયરે જણાવ્યું છે કે જય શાહે એક જ વર્ષમાં પોતાની કંપનીની કમાણી ૧૬૦૦૦ ગણી વધુ કરી લીધી. આ મામલે મોદી સરકારે જય શાહનો બચાવ કર્યો હતો અને તપાસ કરવાની ના પાડી દીધી હતી. જોકે આરએસએસ અત્યાર સુધી ચૂપ હતું, પણ હવે તેણે પણ પોતાનો પક્ષ સ્પષ્ટ કરી લીધો છે. આરએસએસએ પણ સરકારના સૂરમાં સૂર મિલાવતા કહ્યું છે કે પહેલા જેઓએ આરોપો લગાવ્યા છે તેઓએ પુરવાર કરવું જોઇએ તે બાદ જ તપાસ થાય. તેથી હાલ તપાસની કોઇ જ જરૂર નથી. આરએસએસના જોઇન્ટ જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબલેએ જણાવ્યું હતું કે આરોપ લગાવનારા પ્રથમ દૃષ્ટીએ એ સાબિત કરે કે જે પણ આરોપો લગાવવામાં આવ્યા તે સાચા છે. જે બાદ જ આ મામલે તપાસ થઇ શકે. ભોપાલમાં આરએસએસની ત્રણ દિવસની બેઠક ૧૨મીએ શરૂ થઇ હતી. આ બેઠક અંગે વાત કરતી વેળાએ જ્યારે જય શાહનો મુદ્દો છેડાયો ત્યારે દત્તાત્રેયે આ માહિતી આપી હતી. અને તેનો બચાવ પણ કર્યો હતો.