દ્વારકામાં મોરારિબાપુ પર પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસઃ હું તો માફી માંગનારો અને આપનારો છુંઃ મોરારિબાપુ

Tuesday 23rd June 2020 17:23 EDT
 
 

દ્વારકા: ભગવાન શ્રીકૃષ્ણ મુદ્દે વિવાદિત ટિપ્પણીને લઈને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા માટે રામ કથાકાર મોરારિબાપુ ૧૮મી જૂને દ્વારકા પહોંચ્યા ત્યારે નવા જ વિવાદે જન્મ લીધો. મોરારિબાપુ સાંજે મંદિર પરિસરમાં આવેલી ઓફિસમાં બેસીને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે જેને વોટિંગની પરમિશન આપી નહોતી તેવા પબુભા માણેક ગુસ્સાભેર ધસી આવ્યા હતા. તેમણે મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોક આ વખતે બાપુની બાજુમાં જ બેઠેલા જામનગરના સાંસદ પૂનમબહેન માડમ વચ્ચે ઊભા રહી ગયા અને પબુભાને બહાર લઈ જવાયા. અલબત્ત, બહાર નીકળતી વખતે પબુભાએ મોરારિબાપુને રોષભેર ‘બહાર નીકળ...’ કહ્યું હોવાના અહેવાલ છે.
મૂળ વિવાદ એવો હતો કે શ્રીકૃષ્ણ વિશે અયોગ્ય ટિપ્પણી કરીને મોરારિબાપુએ વિવાદનો મધપૂડો છેડ્યો હતો. કાન્હા વિચાર મંચે આ મામલે બાપુનો વિરોધ કરીને તેઓ દ્વારકા રૂબરૂ આવીને મંદિરમાં માથું ટેકવી માફી માગે તેવી માગ કરી હતી. ૧૨ દિવસથી ચાલી રહેલા આ વિવાદનો અંત લાવવા ૧૮મી જૂને સાંજે સાડા પાંચ વાગ્યે મોરારિબાપુએ દ્વારકા જઈને દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવી માફી માગી હતી.
મોરારિબાપુના સમર્થકોમાં ભારે રોષ
પૂનમબહેન માડમે આ અંગે કહ્યું કે, એવું કાંઇ વધારે નથી બન્યું. પબુભા દ્વારકાના વતની છે એટલે એમની ભાવનાને પણ કદાચ ઠેસ પહોંચી હોય. એમની પણ લાગણી દુભાઇ હોય. તેથી જ પબુભાએ આવીને ખાલી પૂછયું હતું કે, આવું કયાં લખ્યું છે? બાકી, હુમલો થયો નથી.
હું તો પ્રશ્ન પૂછવા ગયો હતોઃ પબુભાનો બચાવ
સાંજે બનેલી આ ઘટના પછી રાતે જ પબુભા માણેકે જાત બચાવતાં કહ્યું કે, હું તો ત્યાં દર્શન કરવા ગયો હતો. મોરારિબાપુ ત્યાં આવ્યાની ખબર પડી તો મને થયું કે, લાવને એમને પૂછું કે તમે જે બોલ્યા તે શેમાં લખેલું છે. હું એ પૂછવા જતો હતો તો બધાને એમ લાગ્યું કે મારવા દોડયો. તુંકારો આપીને પડકાર કર્યા અંગે પબુભાએ કહ્યું કે, મોરારિબાપુના વિધાનથી ઘણાંને ખીજ ચડેલી છે અને એવામાં આ બન્યું એટલે યજ્ઞ થતો હોય એમાં આહૂતિ આપવી હોય તેમ વાટકી વાટકી લઈને બધા દોડે એવું થયું! હાલના વિવાદમાં પ્રસ્તુત બની રહે તેવા નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે, હિન્દુના દીકરા તરીકે દુ:ખ તો થાય જ ને આપણે હિન્દી-ચીની ભાઈ-ભાઈ અને એવી બીજી વાતોને લીધે જ ૧૭૦૦ વર્ષથી માર ખાતાં આવીએ છીએ.
કોઇથી ઉશ્કેરાવું નહીં, મારો સ્વભાવ છેઃ મોરારિબાપુ
૧૮મી જૂનની સાંજની આ ઘટના પછી બીજા દિવસે (૧૯મી જૂને) મોરારિબાપુએ કહ્યું કે, કોઇથી ઉશ્કેરાવું નહીં. મારો સ્વભાવ છે, હું માફી માંગનારો અને આપનારો છું, મારા તરફથી બધું પૂરું થયું છે.
પબુભા સામે ફરિયાદ કરાશે
મોરારિબાપુ પર પબુભાએ હુમલાનો પ્રયાસ કર્યાના બનાવના આકરા પ્રત્યાઘાતો જોકે પડ્યા છે. જામનગર જિલ્લા આહીર સમાજની કારોબારીની મિટિંગમાં આ બનાવને વખોડી નંખાયો હતો. પબુભા સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય પણ કરાયો હતો. આ ઉપરાંત સંત સાથે તોછડી ભાષાનો પ્રયોગ કરનાર ધારાસભ્ય સામે પગલાં લેવા મુખ્ય પ્રધાનને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે.
પબુભા તલગાજરડા જઇને માફી માગે
જામનગર વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટે ૧૯મી જૂને ક્લેક્ટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે, પબુભા તલગાજરડા જઇને બાપુની માફી નહીં માગે તો દ્વારકા જઇને જલદ આંદોલન કરાશે.
મોરારિબાપુ અંગેનો વિવાદ ઠંડો પાડવા સરકાર સજ્જ
મોરારિબાપુ પર પબુભા માણેકના હુમલાના પ્રયાસથી રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. આ બધા વચ્ચે સરકાર પણ મામલાને ઠંડો પાડવા માટે સજ્જ બની છે. આ ઘટનાની સાથે સાથે રાજકીય વિશેષજ્ઞોનું એવું તારણ છે કે પબુભા માણેકે ભાજપની મુશ્કેલીમાં ભારે વધારો કરી દીધો છે. આ ઘટનાથી મોરારિબાપુના સમર્થકો ભાજપ પ્રત્યે પણ રોષે ભરાયાં હોય તેવું જણાઈ રહ્યું છે.
મોરારિબાપુના સમર્થકો કહે છે કે, મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કરનારા પબુભા સામે ભાજપ કેમ પગલાં ભરવા પાછીપાની કરી રહ્યું છે. મોરારિબાપુ જેવા સંત પર હુમલો કરનારાં પબુભા માણેકને પક્ષમાં સસ્પેન્ડ કરી દેવા જોઇએ. ભાજપ માટે એવું સંકટ છે કે પબુભા સાથે શું વલણ અપનાવવું? તેથી રાજ્ય સરકારે આ અંગે નિરાકરણની કામગીરી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને સોંપી છે. ભૂપેન્દ્રસિંહ તલગાજરડા પણ ગયા હતા.
ભાજપ પક્ષે તાકીદે તો એવો નિર્ણય લીધો હોય એવું સ્પષ્ટ થાય છે કે ધારાસભ્યના સસ્પેન્શનની વાતનો વધુ ભડકો ન થાય એ માટે એ મુદ્દાની ચર્ચા ન કરવી અને મોરારિબાપુ સાથે ચર્ચા વિચારણા કરીને મામલાને ઠંડો પાડવા માટે યોગ્ય પગલાં લઈ શકાય એમ હોય એ પગલાં લેવાં.
મહુવા - વિરપુર સજ્જડ બંધ
મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના સમાચાર વાયુવેગે વહેતાં થતાં જ મહુવા અને વિરપુર સહિત કેટલાક સ્થળે ૨૦મી જૂને સજ્જડ બંધ પાળીને લોકોએ વિરોધ નોધાવ્યો હતો. દેશભરમાંથી સામાજિક, રાજકીય આગેવાનોની તલગાજરડામાં ચિંતાભરી પૂછપરછ જારી રહી હતી. મોરારિબાપુએ પણ સમર્થકોને શાંત રહેવા અપીલ કરી હતી.
આવેદન પત્ર પાઠવી પગલાં લેવા માગ
સૌરાષ્ટ્રમાં સાધુ સંતોએ આવેદનપત્ર પાઠવીને પગલા લેવા માગ કરાઈ હતી. રાજકોટ અને ગીર ગઢડામાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને પગલાં લેવા માંગણી કરાઇ હતી. જસદણમાં રામધૂન સાથે રેલી યોજવામાં આવી હતી.

શહીદોના પરિવારોને મોરારિબાપુની રૂ. ૧-૧ લાખની સહાય

લદ્દાખ નજીક ગલવાન સરહદ પર ચીની સૈનિકો સાથેની મારામારીમાં ભારતીય સૈન્યના ૨૦ જવાનો શહીદ થયાં છે. તેમજ અનેક સૈનિકો ઘાયલ પણ થયા છે. મોરારિબાપુએ એ પછી પ્રત્યેક મૃતક શહીદ સૈનિકના પરિવારજનોને રૂપિયા એક લાખની સહાયતા મોકલવા જણાવ્યું છે. ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે આ તુલસી પત્ર પ્રત્યેક શહીદ સૈનિકના પરિવારજનોને રામકથાના શ્રોતા દ્વારા તેમનાં બેંક એકાઉન્ટ દ્વારા પહોંચતી કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter