નવી દિલ્હીઃ કંઇ પણ ખોટું થતું હોય તો તેને રોકવા માટે કાયદો આવકાર્ય છે, પરંતુ સરોગસી મધરની આખી વાત પોઝિટીવ હોવા છતાં ભારત સરકારે જાણે તેમાં બધું જ અયોગ્ય થતું હોય તેમ ધારી લઇને જાતે જ નવો પ્રસ્તાવ લાવ્યા છે, તેમ આણંદના સરોગસી સેન્ટરના વિખ્યાત ડોક્ટર નયના પટેલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, નવા પ્રસ્તાવમાં અનેક ક્લોઝ એવા છે જેના કારણે હવે સરોગસી મધર બનવું અને તેમના થકી બાળક મેળવવાનું ખૂબ મુશ્કેલ બની જશે. દુ:ખની વાત એ છે કે ઇનફર્ટિલિટીથી પીડાતા જે દંપતીઓ છે તેમના માટે સરોગસીથી બાળક મેળવવું મુશ્કેલ બની જશે. તે સાથે અનેક મહિલાઓ સરોગેટ મધર બનીને સેવા આપતી હતી તે પણ તેમને મળતા લાભથી વંચિત થઇ જશે.
નયનાબહેનને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે એક સમયે કેન્દ્રીય પ્રધાન સુષ્મા સ્વરાજે એવું કહ્યું હતું કે, શાહરુખ ખાનને બે બાળકો હોવા છતાં તેમણે સરોગસીથી બાળક મેળવ્યું છે. અન્ય ફિલ્મ સ્ટાર આમીર ખાન અને તુષાર કપૂરે પણ સરોગસીથી બાળક મેળવ્યા હતા. ભારતમાં જો હવે સરોગસીથી બાળક મેળવવા પર પ્રતિબંધ જેવી સ્થિતિ આવશે તો ફિલ્મ સ્ટાર તો વિદેશમાં જઇને પણ તેમ કરી શકશે, પરંતુ દેશમાં રહેતા જરૂરિયાતમંદ દંપતીઓ માટે દ્વાર બંધ થઇ જશે તેનું શું તે વિચારવું જોઇતું હતું.