અમદાવાદઃ શિન્ઝો અને મોદીએ કરેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં પાકિસ્તાનને એવી ચેતવણી આપી હતી કે, મુંબઈ અને પઠાણકોટ પર થયેલા આતંકી હુમલાના દોષીઓને સજા અપાવવી પડશે. આ ઉપરાંત સરહદ પરથી થતા આવા હુમલાઓ રોકવાની પણ તાકીદ કરી છે. આતંકવાદી સંગઠનો જૈશે મહંમદ, લશ્કરે તૈયબા, આઇએસઆઇએસ, અલ કાયદાએ સર્જેલાં જોખમો નાબૂદ કરવા માટે હાકલ પણ કરી હતી. મહાત્મા મંદિરમાં મોદી અને આબેએ ૧૪ પાનાનું સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. બન્ને નેતાઓએ સંયુક્ત નિવેદનમાં રાષ્ટ્રો સાથે પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોના મુદ્દે બંને દેશો વિશ્વમાં વધી રહેલા ત્રાસવાદ અને હિંસાચારની ઘટનાઓને વખોડી કાઢી હતી.
ચીન – કોરિયા નિશાને
ચીનનું નામ લીધા વિના તેને સ્પષ્ટ સંદેશ મળે તે રીતે બંને દેશોએ ગર્ભિત ચેતવણી પણ આપી હતી.
ઉત્તર કોરિયાએ અણુશસ્ત્રો અને બેલ્સિટક મિસાઈલ પરીક્ષણ કર્યાં અને એની પ્રવૃત્તિ ચાલુ છે તેનાથી વૈશ્વિક શાંતિ અને સલામતી જોખમાઈ હોવાનું કહેતાં નિવેદન બહાર પડાયું કે, ઉત્તર કોરિયાને સીધી અને આડકતરી મદદ કરનાર તમામને જવાબદાર ઠેરવવા જોઈએ.
ઓપન સ્કાય પોલિસી
ભારત અને જાપાન વચ્ચે આકાશ ખુલ્લુ મૂકવાની વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત ભારતીય અને જાપાનીઝ એરલાઈન્સ એકબીજાના દેશોના પસંદગીના શહેરોમાં અમર્યાદિત ફલાઈટ ઉડાવી શકે છે.