અમદાવાદઃ બિનનિવાસી ભારતીયોએ ફક્ત ભારતમાંથી મેળવેલી આવક પર જ ટેક્સ ભરવાનો રહેશે. વિદેશમાં મિલકત ધરાવતા હો તો તે અંગેની વિગતો પણ આપવાની જરૂર નથી. બિનનિવાસી ભારતીયએ વિદેશના સ્ત્રોત મારફતે મેળવેલી આવકની વિગતો પણ દર્શાવવાની રહેશે નહીં. વિદેશવાસી ભારતીય વિદેશી કંપનીઓમાં ડિરેક્ટરશિપ ધરાવતા હોય તો તે અંગેની વિગતો પણ દર્શાવવાની રહેશે નહીં. આમ, ૨૦૧૯-૨૦ના આકારણી વર્ષ માટે બિનનિવાસી ભારતીયોએ ફાઈલ કરવા માટેના ઈન્કમટેક્સ રિટર્નમાં આ પ્રકારેની વિગતો આપવામાંથી મુક્તિ આપવાને પરિણામે બિનનિવાસી ભારતીયોને રાહત થઈ છે.
બિનનિવાસી ભારતીયોએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે કઈ આવક દર્શાવવી અને કયા પ્રકારની વિગતો આપવી જરૂરી છે તે અંગે એનઆરઆઈ કરદાતાઓમાં પ્રવર્તતી મૂંઝવણ બાબતે કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિસે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે.
જો એનઆરઆઈ કરદાતા કોઈ ભારતીય કંપનીમાં ડિરેક્ટર હોય અને વિદેશી કંપનીમાં પણ ડિરેક્ટર હોય અને આવા કરદાતા ભારતમાંથી કોઈ આવક મેળવતા ન હોય તો તેમણે ફક્ત ભારતીય કંપનીમાં ડિરેક્ટરશિપ અંગેની જ માહિતી પૂરી પાડવાની રહેશે.
એનઆરઆઈએ રિટર્ન ફાઈલ કરવા માટેના આઈટીઆર ફોર્મ પોર્ટલ પર મૂક્યા પછી તે અંગે એનઆરઆઈ કરદાતાઓએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને સ્પષ્ટતા કરતો સરક્યુલર જારી કરાયો છે. જો એનઆરઆઈ ભારતીય કંપનીમાં ડિરેક્ટર હોય તો તે કંપનીની વિગત, પાનકાર્ડ નંબર, તેના શેર લિસ્ટેડ છે કે અનલિસ્ટેડ અને ડિરેક્ટરશિપ આઈડેન્ટિફિકેશન નંબરની વિગતો આપવાની રહેશે.
એનઆરઆઈ કરદાતાએ આઈટીઆર ફોર્મમાં વિદેશી મિલકતો કે વિદેશી આવકની વિગતો ફક્ત જાણકારી માટે જ આપવાની રહેશે. વિદેશમાંથી મેળવેલી આવક એનઆરઆઈ કરદાતાની કુલ ટેક્સ જવાબદારીમાં ધ્યાનમાં લેવાશે નહીં. જ્યારે રેસિડેન્ટ કરદાતાએ વિદેશી કંપની સહિત કોઈપણ કંપનીમાં ડિરેક્ટરશિપ અંગેની વિગતો આપવાની રહેશે.