ગાંધીનગર: એબીવીપીના ૬૪માં રાષ્ટ્રીય અધિવેશનના સમાપન પ્રસંગે ૨૯મીએ અમદાવાદ આવેલા ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ કહ્યું કે, વિદ્યાર્થી સંગઠનોએ સરકારની યોજનાઓ, કાર્યક્રમો ઉપર ધ્યાન રાખવું જોઈએ. સમાજના છેવડાના લાભાર્થી સુધી સરકારી નીતિઓનો લાભ પહોંચે તે માટે યુવાનોને સ્વયંસેવક તરીકે કામ કરવું જોઈએ. યુવાનોને જાતિ અને લિંગના આધારે થતા ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત ભારતના નિર્માણની દિશામાં આગળ વધવા તેમણે હાકલ કરી હતી. નાયડુએ કહ્યું હતું કે, ભારત એ કોઈ ભૌગોલિક રેખાઓથી અંકિત થયેલો દેશ નથી. અનેક ધર્મો અને ભાષાઓ, સંસ્કૃતિઓથી ભર્યોભર્યો ભારતને દેશના યુવાનો વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરશે. એક ઉદાહરણ આપતા તેમણે એમ પણ કહ્યુ હતુ કે, યોગ એ ભારતીય આર્ટ છે.