નરેન્દ્રભાઇ મોદીનો અનહદ મૈત્રીભાવ: વિનુભાઇ સચાણીયાને જન્મ દિન પ્રસંગે શુભેચ્છા પાઠવી

- કમલ રાવ Tuesday 06th December 2016 06:50 EST
 
માર્ચ ૨૦૦૯માં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇની શુભેચ્છા મુલાકાત વખતે પત્ની શ્રીમતી નયનાબેન સાથે વિનુભાઇ તેમજ અન્ય તસવીરમાં મોદીજીએ મોકલેલું શુભેચ્છા પાઠવતું કાર્ડ નજરે પડે છે 
 

ભારતના વડાપ્રધાન અને લોકલાડીલા નેતા નરેન્દ્રભાઇ મોદી યાદ રાખીને તેમના અતિવ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને આપને જન્મ દિનની શુેચ્છાઅો પાઠવે તે ગમે કે ન ગમે? વાત છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ સાથેની મિત્રતાની, એક વડાપ્રધાન હોવા છતા અદના કાર્યકર સાથે સેતુબંધ સાધવાની, સાથે વિતાવેલી પળોને યાદ રાખીને સમય આવે તેને તાજી કરવાની. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામા સાથે પોતાની મિત્રતાની યાદોને તાજી કરી હતી. આ બધુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ જ કરી શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૩૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ આપણા વાચક અને ૧૯૮૫થી ૧૯૯૨ સુધી ભારતીય જનતા પાર્ટીના જામનગર જીલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેરના માનદ મંત્રી તરીકે જવાબદારી સંભાળનાર વિનુભાઇ સચાણીયાને જન્મ દિન (૩૦-૧૧-૨૦૧૬) પ્રસંગે શુભેચ્છા પાઠવતો ઇમેઇલ કર્યો હતો.

આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ખૂબજ વ્યસ્ત અને કાર્યરત વડાપ્રધાન તરીકે દેશ વિદેશમાં નામના મેળવી રહ્યા છે. પરંતુ તેમણે જે રીતે શુભકામનાઅો પાઠવી તે જોતાં તેઅો પોતાની પાસે એક નોંધપોથી કે ડાયરી રાખતા હશે, જેમાં મિત્રો, સાથીદારો કે કાર્યકર્તાઅોના જન્મ દિન, લગ્ન તિથી કે અન્ય નોંધ રાખતા હશે. લંડનમાં ઘણાં બધા વિનુભાઇ સચાણીયાને નામથી જાણે છે. જુના સ્વાધ્યાયી અગ્રણી પંકજભાઇ ત્રિવેદીની ક્રાંતિકારી વિચારો બદલ હત્યા કરાઇ તે પછી વિનુભાઇ ગુનેગારોને સજા અપાવવા માટે જબરદસ્ત જન અંદોલન ચલાવી રહ્યા છે. ૨૦૦૮માં વિનુભાઇએ અમરનાથ યાત્રીઅોને સુખ સગવડ મળે તે આશયે યાત્રાળુઅો માટે કેન્દ્ર બનાવવાની માંગણીને સમર્થન આપવા એકલે હાથે હરેકૃષ્ણ મંદિર વોટફર્ડ ખાતે દર્શને જતા ભક્તોને લીફલેટ વહેંચી સૌનું ધ્યાન દોર્યું હતું. ખુદ વિનુભાઇ પર પણ અસામાજીક તત્વોએ હુમલો કરી પગ તોડી નાંખ્યા હતા. પંકજ ત્રિવેદીના હત્યારાઅોને સરકાર યોગ્ય સજા કરી શકી નથી તે માટે વિનુભાઇના દિલમાં ઉગ્ર અસંતોષ છે. પરંતુ સામે તેઅો પણ કાયદો અને ન્યાય પ્રણાલિની મજબુરીઅોને સમજે છે.

વિનુભાઇ પોતાની યાદોને તાજી કરતાં જણાવે છે કે "એક સમયે હુ ભાજપનો ખુબજ સક્રિય કાર્યકર્તા હતો. નરેન્દ્રભાઈને અનેક વખત મળવાનુ થતુ હતુ. મારા જેવા નાના કાર્યકર્તા ઉપર તેમનો પ્રેમ ગજબનો હતો. તેઓ મારી મોટર સાઇકલ પર પાછળ બેસીને સાથે ફરતા ત્યારે ખ્યાલ ન હતો કે આ વ્યકિત ભારતના પ્રધાનમંત્રી તરીકે વિશ્વમાં વસુદેવ કુટુમ્બકમનો ડંકો વગાડશે. હા, તેમને મળવાથી બેટરી જરૂર ફુલ ચાર્જ થઈ જતી. આજ રીતે ભારતના લોકલાડીલા ભારતરત્ન અટલજીએ વિરોધપક્ષના નેતા તરીકે દેશભરમાં મોંઘવારી વિરૂધ્ધ આપેલા કાર્યક્રમ અંતર્ગત તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીને જામનગર ખાતે સુરક્ષા તોડીને પણ મોંઘવારી વિરુધ્ધ આવેદન પત્ર આપ્યું હતુ. આ અને આવા અનેક કારણોસર આજે પણ મારા જેવા નાના માણસને નરેન્દ્રભાઈ મિત્રના નાતે સ્નેહ આપતા રહે છે અને હજુ સુધી ભુલ્યા નથી, તેનો મને આનંદ છે. સી.બી. પટેલ ભારત બહાર ભારતીયોની ખુબજ સેવા કરે છે અને તેથી જ નરેન્દ્રભાઇએ તેમના વકત્વયમાં સીબીની સેવાઅોને ધ્યાનમાં રાખી કહ્યું હતું કે ડાયરેક્ટ ફ્લાઇટ માટે મારા મિત્ર સી.બી. મારુ ગળુ પકડે છે ત્યારે હુ ખુબજ ભાવવિભોર થયો હતો.”

મિત્રો જરૂર છે સૌએ દિલમાં પોતાના દેશ પરત્વે પ્રેમ અને લાગણી રાખવાની. જો દેશ પ્રત્યે ભાવના હશે તો બીજા કોઇ સુખની કલ્પના કરવાની જરૂર નથી. વિનુભાઇ, "ગુજરાત સમાચાર"ના સૌ વાચક મિત્રો તરફથી સો સો સલામ અને જન્મ દિન પ્રસંગે મોડેથી પણ અગણિત શુભકામનાઅો...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter